સોનગઢ તાલુકામાં મનરેગા યોજનામાં દિવસે દિવસે ભષ્ટાચાર સામે આવી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારી, મનરેગા શાખાના કો-ઓડીનેટર તથા તલાટીની બેદરકારીના લીધે સોનગઢના કાલધર ગામે માત્ર માનરેગના કામો કાગળ પુરતા જ જોવા મળે છે. સોનગઢ તાલુકાના શ્રાવણીયા જૂથ ગ્રામપંચાયત પૈકી કાલધર ગામે મનરેગા યોજના અંતર્ગત વર્ષ 2019-20 માં ઓનલાઈન કામો તો થયેલા દેખાય છે પરંતુ વાસ્તવિકતામાં જોતા કામો જેમ કે ( મગનભાઈ જેઠીયાભાઈ ગામીતના ખેતરમાં કૂવો બનાવવાનું કામ) જે કામ હકીકતમાં થયેલ જ નથી, છતાં જે કામનું મસ્ટર ઇસ્યુ કરી જોબકાર્ડ ધારકોના બેન્ક ખાતામાં પૈસા પણ જમા થયાનું બહાર આવ્યું છે.

    વધુ તપાસ જાણવા મળ્યું છે કે કાલધર ગામે એક જોબકાર્ડ ધારક દીઠ 16 દિવસ કામ કર્યાની હાજરી ઓનલાઈન કરેલ છે. તો કુલ 10 જોબકાર્ડ ધારકો દ્વારા કુવા ખોદવાનું કામ કરેલ જોવા મળે છે આમ 10 જોબકાર્ડ ધારકો દ્વારા કુલ 160 દિવસ કામ કર્યાની હાજરી જોવા મળે છે. કુલ 160 દિવસ કામ કર્યાની રકમ 25,250 રૂપિયા થાય છે. તો 25,250 રૂપિયા મજૂરોને મળ્યા, પરંતુ શુ આ જોબકાર્ડ ધારકો એ હકીકત કામ કર્યું છે ? અને કર્યું છે તો ક્યાં કર્યું ? તો શું આ રૂપિયા માત્ર મજૂરોએ લીધા ? કે પછી કામ કરાવનાર વ્યક્તિએ લીધા એવા અનેક સવાલો સ્થાનિક પ્રજામાં ઉઠી રહ્યા છે.

   કાલધર ગામે આ વર્ષે જે મનરેગાના કામો થયા છે જેમાં તાલુકા પંચાયતમાંથી મનરેગા શાખા અધિકારી, તલાટી કે સરપંચ દ્વારા કોઈ દિવસ મનરેગાનું કામ સ્થળ તપાસ માટે આવ્યા નથી. RTI હેઠળ મળતી માહિતી મુજબ કુવાની કામગીરી 160 દિવસ થઈ છે. અને હજી 825 દિવસ કુવાની કામગીરી બાકી છે. તો જે RTI જાહેર માહિતી અધિકારી દ્વારા મળી છે જેમાં જે કુવાની કામગીરીનો ફોટા આપવામાં આવ્યો છે. જે ફોટો મગનભાઈ જેઠીયાભાઈ ગામીતના ખેતરના કૂવો નથી. અને જમીન પર કૂવો ખોડાયો જ નથી જે ફોટાઓ આપવામાં આવ્યો છે એ કોઈ બીજાના ખેતરમાંથી કુવાનો ફોટો પાડીને આપવામાં આવ્યો છે આ તમામ પ્રુફ હોવા છતાં તંત્ર પગલાં લેતું નથી સ્થાનિકો નું કહેવું છે કે આ કાંડમાં તંત્રની પણ સામેલગીરી એટલે કોઈ પ્રક્રિયા કરવામાં આવતી નથી.

   સૂત્રોના જણાવ્યા મુજબ ગત દિવસોમાં સરપંચશ્રીના પાસે એવું જણાવા મળ્યું છે કે લોકડાઉન પહેલા માત્ર એક અઠવાડિયા સુધી કુવાની કામગીરીમાં સાફ સફાઈ કરી હતી. પછી આગળનું કોઈ કામ લોકડાઉન આવવાના કારણે થયું નથી. તો અહીં RTI માં જે કૂવા ન તપાસ રિપોર્ટ આપવામાં આવ્યો છે જેમાં કુવાનું પાણી ઉપર સુધી આવી ગયું છે. અને કૂવો પાકો બનેલો દેખાય છે. જો 10 મજૂરો દ્વારા 160 દિવસમાં કૂવો પાકો બની જોતો હોય અને કૂવામાં પાણી નીકળી આવ્યુ હોય તો 825 દિવસ હજી કુવાની કામગીરી ના બાકી બતાવે છે એ દિવસો ક્યાં કૂવો ખોદશે ? એ પ્રશ્ન ઉભો થઇ શકે.

   ખરેખર જે અધિકારીઓને પ્રજાના કામો કરવા નિયુક્ત કરવામાં આવે છે તે અધિકારીઓનો પેટના કૂવા એટલા ઊંડા થઇ ગયા છે કે એ ક્યારેય ભરાતા નથી ત્યાં ગામડાઓમાં લોકોને રોજગારી આપવી હોય એ વાત તો ભૂલી જ જવી. તાપી જીલ્લાનું તંત્ર જાગે અને આ સોનગઢ તાલુકા પંચાયતના અધિકારીનો જે મનરેગાના કોભાંડ ભાગીદાર છે એવા સામે તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા કેવા નિર્ણયો અને કડક પગલાં ભરવામાં આવે છે એ જોવું રહ્યું.