દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ શુક્રવારે એટીએમ મશીનમાંથી રોકડ ઉપાડવાના નિયમો બદલ્યા છે. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાનું બેંક તરફથી જણાવવામાં આવ્યું છે. SBIની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે જો બેંક ખાતામાં પુરતી બેલેન્સ નહીં હોવાને કારણે ટ્રાન્ઝેક્શન રદ થશે તો બેંક આ માટે કાર્ડ ધારકને ચાર્જ લગાડશે. આવા પ્રત્યેક ફેલ ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા+જીએસટી ચાર્જ ચૂકવવો પડશે.

SBI તરફથી તેના ગ્રાહકો પર નૉન-ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે પણ ફરજિયાત ચાર્જ નાખવામાં આવશે. SBIની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે નક્કી કરવામાં આવેલી મર્યાદા બહાર કરવામાં આવનારા કોઈ પણ વધારાના ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકોએ 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા+જીએસટી ચાર્જ ચૂકવવો પડશે. હાલમાં એસબીઆઈ મેટ્રો શહેરમાં મહિનામાં એટીએમમાં આઠ ટ્રાન્ઝેક્શન માટે કોઈ ચાર્જ નથી લગાડતી. જેમાં પોતાની બેંક એટલે કે SBI એટીએમ મશીનમાં પાંચ ટ્રાન્ઝેક્શન અને અન્ય બેંકના એટીએમમાં ત્રણ ટ્રાન્ઝેક્શન શામેલ છે.

આ ઉપરાંત જો એસબીઆઈ કાર્ડ ધારક પોતાના એટીએમમાંથી 10 હજાર રૂપિયાથી વધારે રોકડ ઉપાડશે તો આ માટે OTP (One time password)ની જરૂરી પડશે. જ્યારે પણ કાર્ડ ધારક 10 હજારથી વધારે રકમ ઉપાડવાનો પ્રયાસ કરશે ત્યારે તેને પોતાના રજિસ્ટર થયેલા મોબાઇલ નંબર પર એક OTP મળશે. આ OTP મશીનમાં દાખલ કર્યા બાદ જ ટ્રાન્ઝેક્શન થઈ શકશે.

SBIના ગ્રાહકો હાલ પોતાના મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શન વગર પર બેલેન્સ ચેક કરી શકે છે. ગ્રાહકો બે રીતે પોતાના ખાતામાં રહેલી બેલેન્સ ચેક કરી શકે છે.

1) ગ્રાહક બેલેન્સ લખીને 9223766666 નંબર પર SMS કરી શકે છે.

2) ગ્રાહક આ નંબર પર એટલે કે 9223766666 પર મિસ્ડ કૉલ કરીને પણ બેલેન્સની જાણકારી મેળવી શકે છે. આપને જણાવી દઈએ છીએ કે, SMS કે મિસ્ડ કૉલ એ જ મોબાઇલ નંબર પરથી કરવાનો રહેશે જે બેંક સાથે નોંધાયેલો હોય.