ધરમપુર: ધરમપુરના આસુરા ગામની બ્લોક/સ.નં. 525 (જૂનો સ.નં. 243) (જૂનો સ.નં. 128) ક્ષેત્રફળ 2-43-94 ચોરસ મીટરવાળી જમીન હાલમાં મહેન્દ્રસિંહ મણિલાલ પરમારના નામે છે. આ જમીન અગાઉ કરણસિંહ રઘુનાથસિંહ બારૈયાના નામે હતી, જે વર્ષ 1984માં 1600 ચો.મી. સ્ટોન ક્વોરી માટે હેતુસર બિનખેતીની મંજૂરી આપવામાં આવી પણ તે પછી મંજૂરી કરતાં વધુ જમીન પર સ્ટોન ક્વોરી અને ક્રશર પ્લાન્ટ ગોઠવવામાં આવી હતી.
આ મુદ્દે મહેન્દ્રસિંહ પરમાર દ્વારા મહેસૂલ વિભાગ સમક્ષ ફરિયાદ કરાઈ હતી. મહેસૂલ વિભાગની તપાસમાં જમીન સાઈ સ્ટોન ક્વોરી નામની પેઢીને રૂ. 100 ના સ્ટેમ્પ પેપર પર ૨૫ વર્ષ માટે ભાડે અપાઈ હોવાની માહિતી બહાર આવી હતી. જે પછી કરાર કાયદેસર રીતે ન હોવા ઉપરાંત ભાગીદાર પેઢીના મૃત્યુ પછી પણ કાયદાકીય પ્રક્રિયા વિના ક્વોરી અને ક્રશર પ્લાન્ટ ચાલુ રખાયો હોવાની માહિતી બહાર આવી હતી. 1600 ચો.મી. ની મંજૂરી સામે આશરે 8670 ચો.મી. જમીન પર ગેરકાયદે બિનખેતી તરીકે ઉપયોગ થતો હોવાનું જણાયું હતુ. જેના પગલે જમીન મહેસૂલ કાયદાની કલમ-97 હેઠળ શરતભંગ હેઠળ કાર્યવાહી બાબતે, વલસાડના તાત્કાલિક કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ તા. 1/7/2022 ના રોજ વધારાનું બિનઅધિકૃત બાંધકામ દૂર કરી, ગેરકાયદે બિનખેતીનો થતો ઉપયોગ બંધ કરાવવા માટે હુકમ કર્યો હતો. સાથે જ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ રૂ. 86,700 નો દંડ ફટકારી બાંધકામ દૂર કરવા આસુરા ગ્રામ પંચાયતને લેખિતમાં આદેશ કરાયો હતો.
પછી ક્વોરીનો સરસામાન દૂર કરવા માટે જણાવાતા ડિમોલિશન કરાયું ન હતું. તેથી તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલ મકવાણાના તાજેતરમાં કરાયેલા હુકમના આધારે આસુરા ગ્રામ પંચાયત દ્વારા બિનઅધિકૃત બાંધકામના ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.











