ડેડીયાપાડા: ગુજરાતના ઘરે ઘરે નળથી પાણી આપવાની યોજના હેઠળ 2022ના અંત સુધીમાં ડુંગરાળ વિસ્તારના આદિવાસીઓના ઘરે પણ પાણી પહોંચી જાય તે માટે સરકારે લિફ્ટ ઇરિગેશનની પદ્ધતિનો આશરો લઈ રહી છે. આ સાથે જ પાણી જન્ય રોગોથી લોકોને બચાવવા ફિલ્ટર પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. પરંતુ આ તમામ કામોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરી કામોમાં વેઠ ઉતારવામાં આવી રહ્યો છે.

પાણી પુરવઠા વિભાગની નલ સે જલ યોજનાઓ ઠેરઠેર ડેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોની કામગીરીઓમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિને લઇ ગ્રામ્ય વિસ્તારોમાં આ યોજના મોટે ભાગે શોભાના ગાંઠિયા સમાન બની છે. સરકાર દ્રારા ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓની સુવિધા માટે પાણી પુરવઠા વિભાગ થકી ઘર આંગણે નળ માંથી સીધુ પાણી ભરી લેવાની યોજના અમલમા મુકી છે. પરંતુ આ યોજના શરૂ થઇ છે ત્યારથી અધિકારીઓ, પદાધિકારીઓ, કોન્ટ્રાક્ટર ની મિલીભગતથી આ કામગીરીની પાણીની પાઇપો લાઇનોમાં નિયમ મુજબ કામ થતું નથી. યોજના બન્યા બાદ મોટા ભાગના ડેડીયાપાડા તાલુકાઓના ગામડાઓમાં ભર ઉનાળે શોભાના ગાંઠીયા સમાન આ યોજના થઇ પડી છે.

ડેડીયાપાડા તાલુકાના ગારદા ગામે નલ સે જલ યોજના અમલમાં આવી છે. પરંતુ તમામ કામમાં વેઠ ઉતારવામાં આવી છે. પાણીની તમામ લાઈન ઉપર જ દાટવામાં આવી હોવાથી વારંવાર તૂટી જાય છે અને પાણીનો ખૂબ જ પ્રમાણમાં બગાડ થઈ જાય છે. અને નળમાં પાણી ૧૫ મિનિટ પણ આવતું નથી, જેથી આ યોજનામાં થયેલ ભારે ગોબાચારી અને ભ્રષ્ટાચારને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે પછાત આદિવાસી વિસ્તારમાં સરકારી કામોમાં ચાલતી ભારે ગેરરીતિ અને ભ્રષ્ટાચારને તપાસ હાથ ધરવામાં આવે એવી લોકોની માંગણી છે. નલ સે જલ યોજનાની કામગીરીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે સાચી દાનતથી તપાસ કરવામાં આવે તો ગારદા ગામ જ નહીં પરંતુ અન્ય આદિવાસી ગામોમાંથી પણ મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે.

BY સર્જન વસાવા, ડેડીયાપાડા