ભરૂચ જિલ્લાના અંકલેશ્વરનાં દિવા ગામ ખાતે એકસપ્રેસ વે ની કામગીરી ખેડૂતોએ અટકાવી હતી. આ કામગીરીમાં વળતર ચુકવ્યા વગર સરકારે કામગીરી હાથ ધરતા હોવાના આક્ષેપો સાથે ખેડૂતો આજે આક્રમક બની વિરોધ કર્યો હતો.

અંકલેશ્વરનાં દિવા ગામ ખાતે થી પસાર થતાં વડોદરા-મુંબઇ એકસપ્રેસ વે ની કામગીરી ખેડૂતોએ અટકાવી નારા બાજી કરી જણાવ્યુ હતુ કે, જો આ વિસ્તારમાં કોઈ ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર, સરકારની રહેશે તથા નેશનલ હાઇવે ઓથોરીટીની રહેશે. આ તકે વિરોધ પ્રદર્શિત કરી ખેડૂતોએ પ્રધાનમંત્રી દ્વારા બનાવવામાં આવેલ લેન્ડ એકવીજીશન એક્ટ ૨૦૧૫નાં નીતિ નિયમો મુજબ કામગીરી કરવા માટે ખેડૂતોએ માંગણી કરી હતી. જો આ કાયદા મુજબ કામગીરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં નેશનલ હાઇવે ઓથોરીટીનું ભરૂચ, આમોદ સહિત ની જગ્યાઓ પર કામ બંધ કરાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં ખેડૂતોનાં હિતની વાત સરકાર દ્વારા કરવામાં નહીં આવે તો મોટાપાયે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવશે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.