વ્યારા: આમ આદમી પાર્ટી, તાપી જિલ્લાના ઉપપ્રમુખ એડ. જિમ્મી પટેલ દ્વારા ડોલવણ ચાર રસ્તા (NH-56) ખાતે ચોમાસા દરમિયાન ડિમોલિશન કાર્યવાહી સ્થગિત રાખવા અંગે જનહિતની રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર, તાપીએ NHAIના પ્રોજેક્ટ ડિરેક્ટરને જરૂરી કાર્યવાહી અને વિચારણા માટે અરજી મોકલી આપી છે.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, અનુસૂચિત (પાંચમી અનુસૂચિ) વિસ્તારમાં આવેલા ડોલવણ ચાર રસ્તા વિસ્તારના સ્થાનિક આદિવાસી પરિવારો અને વેપારીઓના હિતોનું રક્ષણ કરવું જરૂરી છે. ચોમાસા દરમિયાન ડિમોલિશન કાર્યવાહીથી તેમની આજીવિકા પર ગંભીર અસર પડી શકે છે. તેથી માનવતાપૂર્ણ દૃષ્ટિકોણ અપનાવીને ચોમાસું પૂર્ણ થયા બાદ કાયદેસરની પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
એડ. જિમ્મી પટેલએ જણાવ્યું કે, “સ્થાનિક લોકોના જીવન-જીવિકા સાથે સંકળાયેલા મુદ્દે વહીવટી તંત્રે સંવેદનશીલતા દાખવી છે. આ જનહિતના મુદ્દે આગળ પણ જરૂરી રજૂઆતો ચાલુ રહેશે.” હાલમાં જિલ્લા કલેક્ટરની સૂચના બાદ NHAIની કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે. આ મુદ્દે સ્થાનિક આદિવાસી અને વેપારી સમાજમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.











