ધરમપુર: સમગ્ર વિશ્વની જેમ 9 ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંબાતલાટ ગામે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ પ્રકૃતિ પૂજા સાથે વિશેષ ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
Decision News ને મળેલી જાણકારી મુજબ કાર્યક્રમના પ્રારંભે ગામના યુવાનો અને ગ્રામજનોએ એકઠા થઈને પ્રકૃતિ પૂજા કરી હતી અને આજના આ ખાસ દિવસની ઉજવણીની શરૂઆત કરી હતી. આદિવાસી સમાજ હંમેશાંથી પ્રકૃતિ સાથે જોડાયેલો રહ્યો છે, ત્યારે યુવાઓ દ્વારા કરવામાં આવેલી આ પ્રકૃતિ પૂજા આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ પ્રસંગે વલસાડ જિલ્લા એસ.ટી. કોંગ્રેસ સેલના પ્રમુખ અને આદિવાસી સમાજના યુથ લીડર રાહુલ પટેલે ઉપસ્થિત રહીને યુવાનો અને ગ્રામજનો સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે વિશ્વ આદિવાસી દિવસનું મહત્વ, તેની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ તથા આદિવાસી સમાજના હક્કો, સંસ્કૃતિ અને જળ-જંગલ-જમીનનું રક્ષણ કરવા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો અને આદિવાસી સમાજના અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા.











