ધરમપુર: ભારે વરસાદ અને માન નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે ધરમપુર તાલુકાના શેરીમાળ અને કાગંવી ગામને જોડતો ચેકડેમ કમ કોઝવે ભારે નુકસાનીનો ભોગ બન્યો છે. પૂરના જોરદાર પ્રવાહમાં કોઝવેની બંને તરફની રેલિંગ તૂટી ગઈ હતી અને રસ્તામાં અનેક સ્થળે મોટા ખાડા પડી ગયા હતા.
Decision News ના અહેવાલ બાદ ધરમપુર માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને પુલ પર નવી રેલિંગ લગાવી અને પડેલા ખાડાઓ પૂરી દીધા છે. સમારકામના દ્રશ્યો સામે આવ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ માર્ગ શેરીમાળ, કાગંવી સહિત આસપાસના અનેક ગામોના લોકો માટે મહત્વની જીવાડુ લિંક છે. વરસાદી માહોલમાં આ માર્ગને નુકસાન થતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી.
ગામલોકોનું કહેવું છે કે આવા પુલ અને માર્ગોનું બાંધકામ મજબૂત રીતે થવું જોઈએ જેથી દર વર્ષે વરસાદમાં આવું નુકસાન ન થાય અને અવારનવાર સમારકામ કરવાની જરૂર ન પડે. વહીવટી તંત્રનું કહેવું છે કે નુકસાનની તાત્કાલિક સમીક્ષા કરીને જરૂરી સમારકામ કરવામાં આવ્યું છે અને આવી પરિસ્થિતિમાં લોકોની સુવિધા માટે તરત પગલાં લેવામાં આવે છે. હાલમાં માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.











