વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહુવાસ ગામમાં આદિકાળથી ચાલી આવતી આદિવાસી પરંપરા અનુસાર જંગલના આરાધ્ય દેવ વાઘદેવની વિધિવત્ પૂજા-અર્ચના અને તેર દિવસની ઉજવણી ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન થઈ છે.

આ પ્રસંગે ગામના ગ્રામજનોએ પરંપરાગત વિધિ-વિધાન, રીતિ-રિવાજો અને સામૂહિક ભાગીદારી સાથે વાઘદેવની પૂજા કરી. આદિવાસી સમાજમાં વાઘદેવને પ્રકૃતિ, જંગલ અને પૂર્વજોના આસ્થાનું પવિત્ર પ્રતીક માનવામાં આવે છે. આ પરંપરા દ્વારા સમાજ પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને પૂર્વજોની સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે. મહુવાસ ગામના લોકોએ જણાવ્યું કે આધુનિક યુગમાં પણ આ પ્રાચીન સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવો અને આગામી પેઢી સુધી પહોંચાડવો એ તેમનો સંકલ્પ છે. તેર દિવસ સુધી ચાલેલી આ ઉજવણીમાં ગામના તમામ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

આદિવાસી સમાજની આવી પરંપરાઓ સમાજની અમૂલ્ય ધરોહર છે. પ્રકૃતિ પ્રત્યેની આસ્થા, સંસ્કૃતિ અને વારસાના સંરક્ષણમાં આવા કાર્યક્રમો મહત્વની ભૂમિકા ભજવે છે. મહુવાસ ગામની આ સાંસ્કૃતિક ઉજવણીએ આદિવાસી પરંપરાની જીવંતતા અને સમાજની એકતાનું સુંદર દર્શન કરાવ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here