વ્યારા: આજરોજ વ્યારા તાલુકાના ચુનાવાડી ગામમાં આદિવાસી સમાજની પરંપરા અને આસ્થાને વધુ મજબૂત કરતી એક ભવ્ય ધાર્મિક ક્ષણ જોવા મળી. વાઘદેવના પવિત્ર સ્થાનકે વાઘદેવ, નાગદેવ, સૂર્ય અને ચંદ્રની નવી ભવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પરંપરાગત આદિવાસી વિધિ-વિધાન સાથે કરવામાં આવી છે.
ગામમાં વર્ષોથી પૂર્વજો દ્વારા સાગના લાકડામાં કોતરેલી પ્રતિમાઓની પૂજા થતી હતી. સમયના પ્રવાહ સાથે આ પ્રતિમાઓ જર્જરિત થતાં ગામના ભગતો અને ગ્રામજનોએ સર્વસંમતિથી નવી મૂર્તિઓ સ્થાપવાનો નિર્ણય લીધો હતો. પરંપરાગત રીત-રિવાજો મુજબ નવી મુરતોની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે ગામના વડીલો, યુવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું.
વાઘદેવ સમક્ષ ગામના સુખ-સમૃદ્ધિ, સારા વરસાદ, ખેતીની ઉન્નતિ, પશુધનના કલ્યાણ તેમજ જંગલ અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી. ગ્રામજનોનો આદિવાસી સમાજની સાંસ્કૃતિક ઓળખ, પરંપરા અને પૂર્વજોના અમૂલ્ય વારસાને નવી પેઢી સુધી જીવંત અને મજબૂત રાખવાનો એક પ્રેરણાદાયી પ્રયાસ છે.











