વ્યારા: આજે વ્યારા કલેક્ટર કચેરી ખાતે ગુજરાતના રાજ્યપાલ અને દેશના રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ આદિવાસી વિરોધી ભાજપ સરકાર દ્વારા વારંવાર ખોટા કેસો કરીને તેમને જેલમાં મોકલવામાં આવતા હોવાનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આદિવાસી સમાજના અનેક પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આવેદનપત્રમાં એવી માંગણી કરવામાં આવી છે કે આદિવાસીઓના હિત માટે અવાજ ઉઠાવતા નેતાઓને રાજકીય રીતે હેરાન ન કરવામાં આવે અને તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ખોટા કેસોને તાત્કાલિક પાછા ખેંચવામાં આવે. આ પ્રસંગે કુંજનભાઈ જણાવ્યું કે, “આવી ઘટનાઓ વખતે અમે સભા, રેલી અને આવેદનપત્ર આપીને સંતોષ માની લઈએ છીએ, પરંતુ તેનાથી સરકાર પર કોઈ અસર પડતી નથી અને જેલમાં પૂરાયેલા આપણા નેતાઓને કોઈ ફાયદો થતો નથી.”
તેમણે વધુમાં કહ્યું કે, “આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે, જેથી કોઈ પણ સરકાર હોય, આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવતા નેતાઓને હેરાન ન કરી શકે.” આ આવેદનપત્રને લઈને આદિવાસી વિસ્તારોમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલે વહીવટી તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર નજર રહી છે.











