આદિવાસી ગૌરવ: આજે આ લખવાની ફરજ એટલા માટે પડી કારણ કે જાણીતા પત્રકાર પ્રશાંત દયાળની યુટ્યુબ ચેનલ ‘નવજીવન ન્યૂઝ’ પર એક વીડિયો જોયો, જેનું ટાઈટલ હતું: “IPS GS Malik મહિલા PSI Mini Joseph ને બોલાવી કહ્યું કોઈ પણ કિંમતે મારે Chhotu Vasava જોઈએ.” આ વીડિયોમાં પ્રશાંત દયાળ પોતાની સ્પીચમાં જણાવે છે કે, “એક સમયે નર્મદા અને ભરૂચ જિલ્લામાં પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા છોટુ વસાવાનો ભારે દબદબો અને ‘આતંક’ હતો…” પ્રશાંત દયાળ સારા પત્રકાર છે અને સરકાર સામે અવાજ ઉઠાવે છે એ વાત સાચી, પણ…એ ‘એરકન્ડિશન્ડ’ કેબિનમાં બેસનારાને શું ખબર ?
પ્રશાંત દયાળ અને એમના જેવા અનેક લોકો જેમણે ક્યારેય આદિવાસી વિસ્તારોના અંતરિયાળ ગામડાં જોયા નથી, અહીના આદિવાસીઓની સદીઓ જૂની તકલીફો જોઈ નથી, તેમના પર થતા અત્યાચારો અને શોષણ જોયા નથી, તેમને આદિવાસી સમુદાયની પીડા શું સમજાવવાની ? જ્યારે આદિવાસી સમુદાયના સંવિધાનિક હક અને અધિકાર છીનવાઈ રહ્યા હોય, ત્યારે મીડિયાની આંખો પર પટ્ટી આવી જાય છે!
પ્રશાંત દયાળજી, મારા થોડા સચોટ સવાલોના જવાબ આપશો ?
તમે તમારા વીડિયોમાં બહુ આસાનીથી કહી દીધું કે “છોટુ વસાવાનો આતંક હતો…” તો મારે તમને ખુલ્લો પડકાર ફેંકીને પૂછવું છે કે છોટુ વસાવા સામે કયો ગુનો કે કયો કેસ કોર્ટમાં સાબિત થયો છે? જરા આંકડા સાથે સમાજને બતાવો ! અને હા, જ્યારે તમારા જ અખબાર/ચેનલના પત્રકાર તુષાર બસિયા પોતે છોટુભાઈ વસાવાને રૂબરૂ મળવા આવ્યા હતા, ત્યારે શું તેમણે કોઈ આતંકનો સામનો કરવો પડ્યો હતો ? કે પછી તેમને આદિવાસી સંસ્કૃતિનું પરંપરાગત આતિથ્ય અને સન્માન મળ્યું હતું?
પ્રશાંતભાઈ, સિસ્ટમ અને સરકાર સામે જે કોઈ અવાજ ઉઠાવે એના પર સત્તાધીશો કેવા ખોટા કેસો થોપી દે છે એ રમતથી તો તમે પોતે પણ બહુ સારી રીતે વાકેફ છો, અને ભૂતકાળમાં તમે પોતે પણ એવા દોરમાંથી પસાર થઈ ચૂક્યા છો! જો સિસ્ટમ સામે લડનારા પર થતા કેસો ખોટા હોય, તો પછી એક આદિવાસી નેતા પર થયેલા કેસોને આગળ ધરીને તમે એમને ‘આતંકી’માં ખપાવવાનો પ્રયાસ કેમ કરો છો ? જ્યારે સત્તા સામે લડીને આદિવાસી મસીહા બનેલા નેતાની વાત આવે, ત્યારે તમારી પત્રકારત્વની વ્યાખ્યા કેમ બદલાઈ જાય છે?
હકની લડત લડવી એ આતંક છે ?
જો પોતાના આદિવાસી સમુદાયના સંવિધાનિક હક અને અધિકારની લડત સતત લડવી એ ‘આતંક’ હોય, તો શું હકની માંગ કરનારા દરેક લોકો આતંકવાદી છે ? જો આ વ્યાખ્યા સાચી હોય, તો શું તેઓ ભગવાન બિરસા મુંડા, ક્રાંતિવીર તાત્યા ભીલ અને રાણા પુંજા ભીલને પણ આતંકવાદી ગણશે ? અરે ! અંગ્રેજો સામે લડનારા પૂજ્ય ગાંધીજી, શહીદ ભગતસિંહ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ – જેમણે દેશની આઝાદી માટે લડત આપી, શું તેમને પણ આ માનસિકતા ધરાવતા લોકો ‘આતંકી’ ગણશે? અમને કોઈ ફર્ક નથી પડતો કે કલમના આ વેપારીઓ અને પક્ષપાતી માનસિકતા ધરાવતા લોકો છોટુભાઈ વસાવા વિશે શું બોલે છે. આદિવાસી સમુદાયના હૃદયમાં તેઓ ગઈકાલે પણ ‘રોબિનહૂડ’ અને ‘આદિવાસી મસીહા’ હતા, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે!
છોટુભાઈના શાસનકાળની હકીકત vs આજની પરિસ્થિતિ
છોટુભાઈ વસાવાના સક્રિય શાસન સમયે આદિવાસી વિસ્તારો સચવાયેલા હતા. આપણી ‘જળ, જંગલ, જમીન’ અને અમૂલ્ય ખનીજો મૂડીવાદીઓના શોષણ અને દોહનથી બચેલા હતા. ગરીબો અને વંચિતોને એક સધિયારો હતો, એક ભરોસો હતો. અને આજના સમયમાં શું પરિસ્થિતિ છે ? સરેઆમ આદિવાસી સમુદાયના સંવિધાનિક હકો (5મી અનુસૂચિ અને PESA એક્ટ) નું હનન થઈ રહ્યું છે. સરેઆમ બેફામ ખનીજ ચોરી થઈ રહી છે, જંગલો સાફ થઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં ઉદ્યોગોના કારણે હવા અને પાણી ઝેરીલા-પ્રદૂષિત થઈ રહ્યા છે. ગરીબ આદિવાસીઓની જમીનો છીનવાઈ રહી છે. આજે આદિવાસી સમુદાયનું રક્ષણ કરવા માટે કોઈ નેતા કે સરકાર આગળ આવતી નથી! તેઓ આગળ આવે છે તો માત્ર આપણી જમીનો પડાવવા અને ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા.
કુહાડીનો હાથો કોણ બન્યું ?
વીડિયોમાં ગર્વથી કહેવાય છે કે કોના માધ્યમથી છોટુભાઈ વસાવાની ધરપકડ કરાઈ. અરે સાહેબ! સમજવા વાળા બધું જ સમજે છે કે “ઝાડ કાપવા માટે હંમેશા ઝાડના જ હાથાનો (લાકડાનો) ઉપયોગ થતો આવ્યો છે.” આપણા જ લોકોને મહોરા બનાવીને આપણી લડતને કચડવાનો પ્રયાસ તે સમયે પણ થયો હતો અને આજે પણ થઈ રહ્યો છે.
હવે એક નહીં, હજારો ‘છોટુ વસાવા’ પેદા થશે !
આજે આદિવાસી સમુદાયમાં માત્ર એક છોટુ વસાવાથી નહીં ચાલે, હવે હજારો ‘છોટુ વસાવા’ ની જરૂર છે. જે કોઈ પણ આદિવાસી યુવાન છોટુભાઈના માર્ગે ચાલીને સંવિધાનિક હકો માટે લડશે, કાળી રાત્રે પણ સમાજ માટે અવાજ ઉઠાવશે, આદિવાસી સમુદાયના લોકો તેને માથે બેસાડશે અને એટલો જ પ્રેમ, સન્માન અને ચાહના આપશે જેટલી છોટુભાઈને આપી છે. છોટુભાઈ વસાવા માત્ર એક નામ નથી, આદિવાસી અસ્મિતા અને સત્તા સામેની લડતનો એક વિચાર છે !
BY: ઘનશ્યામ વસાવા











