માંડવી: બલેઠી ગામમાં એક માતા અને તેમનો માનસિક રીતે અસ્થિર દીકરો વર્ષોથી જર્જરિત મકાનમાં જીવન વિતાવી રહ્યા છે. એક તરફ સરકાર દ્વારા ગરીબોને આવાસ, કલ્યાણ અને સર્વાંગી વિકાસના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ આવા પરિવારોની વાસ્તવિક સ્થિતિ એ દાવાઓ સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે.
સરકારી યોજનાઓના મોટા મોટા પ્રચાર વચ્ચે આજે પણ કેટલાક પરિવારો સુરક્ષિત રહેઠાણ જેવી મૂળભૂત સુવિધાથી વંચિત કેમ છે? શું સંબંધિત વિભાગો સુધી તેમની સમસ્યા પહોંચી નથી કે પછી વ્યવસ્થાની બેદરકારી જવાબદાર છે ? વિકાસના આંકડા અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનું અંતર ત્યારે સ્પષ્ટ દેખાય છે જ્યારે એક માતા પોતાના દીકરાને લઈને તૂટેલા મકાનમાં જીવન જીવવા મજબૂર બને છે. આ ઘટના માત્ર એક પરિવારની વ્યથા નથી, પરંતુ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ પર પણ ગંભીર સવાલો ઊભા કરે છે.
હવે જોવાનું એ રહેશે કે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીના વહીવટનું જવાબદાર તંત્ર આ દુઃખી પરિવારની મદદ માટે આગળ આવે છે કે નહિ. કે વાયદા અને આંકડાના ગણિતમાં આ પરિવાર હજુ તૂટેલા ઘરમાં વર્ષો વિતાવે છે. ખરેખર આ પરિવારને સુરક્ષિત અને સન્માનજનક રહેઠાણ મળે તે જરૂરી છે.











