કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નીલોસી ગામના પ્રસિદ્ધ પરંપરાગત વૈદુ શ્રી સોનિયાભાઈ કાશીરામભાઈ ગાયકવાડને ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી (TRI), ગુજરાત દ્વારા પ્રતિષ્ઠિત “ગુજરાત આદિ ગૌરવ સન્માન” થી સન્માનિત કરવામાં આવ્યા છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ સન્માન પરંપરાગત વૈદ્યકીય જ્ઞાન, આદિવાસી સમાજના સ્વાસ્થ્ય સંરક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રે તેમના નિષ્ઠાપૂર્વકના યોગદાનને ધ્યાનમાં લઈને આપવામાં આવ્યું છે. શ્રી સોનિયાભાઈ ગાયકવાડ આદિવાસી વિસ્તારોમાં વનોષધિઓ અને પરંપરાગત ઉપચાર પદ્ધતિઓ દ્વારા અસંખ્ય લોકોની સેવા કરી રહ્યા છે. તેમનું જ્ઞાન પેઢીઓથી આવતું પરંપરાગત વૈદ્યકીય વારસો છે, જે આજના આધુનિક યુગમાં પણ મહત્વનું માનવામાં આવે છે.
BJYM કપરાડા વતી દીપક ભોયાએ જણાવ્યું કે, “આ સન્માન માત્ર શ્રી સોનિયાભાઈ અને નીલોસી ગામનું જ નહીં, પરંતુ સમગ્ર આદિવાસી સમાજ માટે ગૌરવની ક્ષણ છે. તેમનું પરંપરાગત જ્ઞાન અને સમાજસેવા આખા વિસ્તાર માટે પ્રેરણારૂપ છે.” આ સન્માનથી આદિવાસી સમુદાયમાં પરંપરાગત વિદ્યાને પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.











