ધરમપુર: ગતરોજ મુખ્ય મંત્રીશ્રી ગુજરાત રાજ્યને આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ દાખલ કરાયેલો ખોટો કેસ તાત્કાલિક દરમ્યાનગીરી કરવા બાબતે રજુઆત કરવા આવેદનપત્ર આપી અપીલ કરવામાં આવી છે.

આ આખી ઘટના એવી છે કે જંગલ વિભાગે જેમને જમીન માલિકીની સનદ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ અંતર્ગત આપી છે એવા ખેડૂતોની જમીનમાં ઉભા કપાસના પાકને જંગલ વિભાગના કર્મચારીઓએ કાપી નાખ્યો. વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે આ બાબતની રજુઆત ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા પાસે આવી. ચૈતરભાઈ વસાવાએ અસરગ્રસ્ત ખેડૂતો અને જંગલ વિભાગના કર્મચારીઓને સાથે બેસાડી સમાધાનનો રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો. સમાધાન રૂપે રાજીખુશીથી નક્કી થયું કે, જંગલ વિભાગના કમર્ચારીઓએ શરતચુક કે અન્ય જે કોઈ કારણથી ખેડૂતોને નુકશાન કર્યું છે તે ભરપાઈ કરી આપે અને સામે ખેડૂતો એમની ઉપર કોઈ કાનૂની પગલાં નહિ ભરે. જંગલ વિભાગના કમર્ચારીઓએ નુક્શાનની સહમતીથી નક્કી થયેલી રકમ ચૂકવી આપી અને મામલો ત્યાં જ પૂરો થયો એમ માનવામાં આવ્યું.

પાછળથી જંગલ વિભાગના કર્મચારીઓએ કોઈના દબાણથી કે કાવતરાના ભાગ રૂપે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. જે રકમ સહમતીથી નુક્શાનની ભરપાઈ તરીકે ચૂકવાઈ હતી તેને બળજબરીથી લેવાયેલી ‘ખંડણી’ તરીકે ફરિયાદમાં દર્શાવવામાં આવી. પોલીસે ચૈતરભાઈ વસાવા, એમના પત્ની અને અસરગ્રસ્ત ખેડૂતોને આરોપી તરીકે દર્શાવ્યા છે.

આ આખી ઘટના, ચૈતરભાઈ જે રીતે લોકપ્રતિનિધિ તરીકે સક્રિય છે, નર્મદા પૂરની માનવ-સર્જિત આફત વખતે એમણે જે રીતે લોકોના પડખે ઉભા રહી સેવાઓ આપી અને નાનામાં નાના લોકોના પ્રશ્નો જે રીતે ઉઠાવે છે એની ઈર્ષાથી ઉભી થઇ હોય એવું દેખાય છે. અથવા, ધારાસભ્ય તરીકે ચૈતરભાઈની સક્રિયતાથી સ્થાનકી વહીવટી તંત્રના ભ્રસ્ટાચાર અને ગેરરીતિઓ ઉપર જે અંકુશ આવ્યો છે, નાના મોટા રાજકીય આગેવાનોની કારકિર્દી જોખમાઈ છે તેવા લોકોએ ઉપજાવેલુ આ ષડયંત્ર દેખાય છે.

આપને અમારી વિનંતી છે કે, આ બાબતે એ રાજ્યના વડા તરીકે તાત્કાલિક દરમ્યાનગીરી કરો, મામલાની ન્યાયિક તપાસ કરવો અને ત્યાં સુધી ધરપકડો ઉપર રોક લગાવો. જે રીતે આયોજનબદ્ધ આખો મામલો ઉપજાવવામાં આવ્યો છે તે આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની પૂર્વ પટ્ટીના આદિવાસી સમાજમાં મહત્વનો મુદ્દો બનશે. આ માત્ર ચૈતરભાઈ વસાવાને નથી ફસાવાઈ રહ્યા, ગુજરાતના વંચિત આદિવાસી સમાજને ખોટી રીતે ચીતરવામાં આવી રહ્યો છે, બદનામ અને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે અને એના સ્વાભાવિક રાજકીય પ્રત્યાઘાતો પડશે. આ બાબતે તાત્કાલિક આપ દરમ્યાનગીરી કરો, અન્યથા આખો આદિવાસી સમાજ આ મુદ્દાને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરવું પડશે જે કોઈને માટે શોભતું નહિ હોય.