સ્વતંત્રતાની લડાઈમાં નવા પ્રાણ ફૂંકનારા નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આજે 125મી જયંતિ છે. કેન્દ્ર સરકારે નેતાજીના જન્મદિનને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે, ત્યારે આજે દક્ષિણ ગુજરાતના બારડોલી તાલુકાના હરિપુરા ગામે નેતાજીને ખાસ યાદ કરવામાં આવ્યા છે.

નેતાજીની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા પહોંચ્યા હતા. જ્યાં એક વિશેષ બળદગાડા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ બન્ને મહાનુભાવોએ સવારી કરી હતી.

CM રૂપાણીનું પરાક્રમ દિવસ નિમિત્તે સંબોધન

હરિપુરા સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝની ખાસ યાદો જોડાયેલી છે. આ એજ સ્થળ છે, જ્યાં નેતાજી 83 વર્ષ પહેલાં કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા માટે આવ્યા હતા. જેની આગેવાની સુભાષ ચંદ્ર બોઝે કરી હતી. આ અધિર્વેશનમાં ભાગ લેવા માટે નેતાજી જે બળદગાડામાં બેસીને આવ્યા હતા, તેને યાદગીરી તરીકે આજે પણ ત્યાં જ સાચવીને રાખવામાં આવ્યું છે.

સુભાષ બાબુ પ્રખર જ્ઞાની હતા. તેઓ એ જનામાનામાં ICS થયા હતા, જેને આજે IS કહે છે. કોંગ્રેસમાં જોડાઇ દેશ સેવા કરવા લાગ્યા હતા. આઝાદીની ચળવળમાં બંગાળ અને ગુજરાતનો સંબંધ હતો. દેશના ભાગલા ન પડે તેવી વાત સુભાષબાબુએ કરી હતી. સુભાષબાબુએ કહ્યું હતું કે અંગ્રેજો કે ભૂત બાતો સે નહી માનેંગે. પ્રથમ વિશ્વયુદ્વનો લાભ લેવાની સુભાષબાબુએ વાત કરી હતી. કોંગ્રેસના લોકોએ આ વાત સમજવા તૈયાર ન થયા. સુભાષબાબુ કોંગ્રેસના પ્રમુખ બન્યા ત્યારે કમિટીએ સહયોગ ન આપ્યો. બાદમાં સુભાષબાબુએ ફોરવર્ડ બ્લોક નામની પાર્ટી બનાવી. સુભાષબાબુ જીવે છે કે મરી ગયા તે જાણવાની કોંગ્રેસે દરકાર ન લીધી. સુભાષબાબુ હોત તો પાકિસ્તાન બન્યુ જ ન હોત. સુભાષબાબુ હોત તો ભારત ઇઝરાયેલની જેમ હુંકાર કરતું હોત.