ગાંધીનગર: રાજ્યમાં કોરોનાને કારણે ૭ મહિના કરતા વધારે સમયથી પ્રદેશમાં તમામ શિક્ષણ લગભગ બંધ છે. જો કે ગુજરાત સરકાર શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની તૈયારીઓ કરી હતી અને ૨૩ મી તારીખે શાળાઓ ખોલવા માટેનો આદેશ પણ આપી દેવામાં આવ્યો હતો પણ કોરોનાની ફરી વિકટ થયેલી સ્થિતીને જોતા સરકારે આ નિર્ણય પાછો લઇ લીધો છે.

ગુજરાતમાં ૨૩ તારીખથી શાળાઓ ખોલવાનાં આદેશને પરત લેતા સરકારે આગામી આદેશ સુધી શાળાઓ બંધ જ રાખવા માટેનો નિર્ણય લીધો છે. તમામ મહાનગરોમાં કોરોના વિસ્ફોટનાં પગલે સરકાર દ્વારા શાળાઓ બંધ રાખવા માટેની સુચના પણ આપી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા દિવાળી બાદ કોલેજો અને ધોરણ ૯થી ૧૨ શરૂ કરવા અંગેની ચર્ચા કરવા માટે તમામ યુનિવર્સિટીના કુલપતિ સાથે બેઠક યોજીવામાં આવી હતી. આ બેઠકમાં કોવિડ ૧૯ માટેની નવી ગાઇડલાઇન્સ નક્કી કરવામાં આવશે. જેને જોતા દિવાળી બાદ તુરંત જ કોલેજો શરૂ થાય તેવી શક્યતાઓ છે. કોલેજો બાદ તબક્કાવાર શાળાઓના વિવિધ વિભાગો પણ શરૂ કરવામાં આવશે. સૌ પ્રથમ ઉચ્ચતર માધ્યમીક, ત્યાર બાદ માધ્યમીક અને ત્યાર બાદ પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.