પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

     વર્તમાન સમયમાં કોરોના મહામારીમાં અનેક પરિવારોએ નોકરી ગુમાવી છે પોતાના પરિવારનો ખર્ચ કઇ રીતે કરે તે પણ સમજાતુ નથી ઓનલાઈન અભ્યાસના કારણે વિદ્યાર્થીઓ આપઘાતની ઘટનાઓ દિવસે-દિવસે વધી રહી છે આવા અનેક કિસ્સાઓમાં માનસિક તાણને કારણે ઘરના મોભીએ આપઘાત કર્યાની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત જીલ્લામાં એક એવી ઘટના સામે આવી જેમાં વિદ્યાર્થીનીના ઓનલાઈન અભ્યાસએ પિતાને આપઘાત કરવા મજબૂર કરી દીધો. એક પિતા પોતાની ધોરણ ૧૦માં ભણતી દીકરીના ઓનલાઇન શિક્ષણ માટે મોબાઇલ ફોનની વ્યવસ્થા ન કરી શકતા માનસિક તાણ અનુભવતા હતા. ત્યારે પિતાએ આ માનસિક તાણને કારણે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.

     દક્ષિણ ગુજરાતના સુરતના ડુમસ રોડ પર આવેલા ગવિયર ગામ ભાઠીયા ફાર્મમાં વિવેક ફાર્મ ખાતે રહેતા બાપીભાઈ ઉલકાભાઈ નાયક તેજ ફાર્મ હાઉસમાં માળી અને વોચમેન તરીકે કામ કરતા હતા. ચાર બાળકો સહિત ૬ સભ્યોના પરિવારના જીવન નિર્વાહમાં ઓછા પગારના કારણે તકલીફ પડતી હતી. તેમાં તેમની પુત્રી ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હોવાથી તેને ઓનલાઈન અભ્યાસ કરાવવા માટે મોબાઈલ ફોન તેમજ ઈન્ટરનેટની પણ જરૂરીયાત ઊભી થતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

     પોતાના પરિવારનું ભરણપોશણ કરવામાં મુશ્કેલી પડી રહી હતી અને તેમાં પણ પુત્રીના અભ્યાસ માટે મોબાઇલ ફોન ક્યાંથી લાવવો આ બાબતે છેલ્લા કેટલાક દિવસથી પિતા સતત માનસિક તાણમાં રહેતા હતા. ગતરોજ બાપીભાઈ આવેશમાં આવી જઈને તાપી નદી કિનારે આવેલા એક ઝુપડામાં જઈ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણકારી મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. બનાવની જાણકારી મળતા બાપીભાઈના પરિવાર સાથે પોલીસ પણ બનાવવાળી જગ્યા પર દોડી ગઈ હતી

     પરિવારના મોભીએ ભરેલા આ પગલાંને લઈને પરિવર શોકમાં ગરકાઉ થઇ ગયો હતો. આ અંગે ડુમસ પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના વિષે અને દિકરીના પિતા લીધેલા નિર્ણય વિષે તમે શું વિચારો છો ? એક ગરીબ પરિવાર માટે ઓનલાઈન શિક્ષણ કેટલું ઉચિત છે ? આ સવાલ ચિંતન કરાવે છે.