મોબાઇલ વૉલેટ કંપની પેટીએમએ અલગ અલગ મોડના માધ્યમથી ચૂકવણીનો વિકલ્પ આપે છે. પેટીએમ યૂઝર્સ આ એપના માધ્યમથી UPIથી લઈને અનેક પ્રકારના બિલ ચપટી વગાડતા ચૂકવી શકે છે. બેંક એકાઉન્ટ માંથી પેટીએમમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કોઈ ચાર્જ નથી ચૂકવવો પડતો. પરંતુ આનાથી ઉલટું એટલે કે પેટીએમ વૉલેટથી બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે યૂઝર્સે ચાર્જ આપવો પડે છે. અનેક યૂઝર્સે આને લઈને ચિંતા વ્યક્તિ કરી હતી. હવે આ મામલે પેટીએમના સંસ્થાપક વિજય શેખર શર્મા એ જવાબ આપ્યો છે.

   વિજય શેખર શર્માએ એક પેટીએમ યૂઝરને આ અંગે જવાબ આપ્યો છે. એક યૂઝરે તેમને પૂછ્યું હતું કે જો તમે પીટીએમ વૉલેટથી બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા પર લાગતા પાંચ ટકાના ચાર્જને હટાવી દો તો શું થશે? શું તેનાથી યૂઝર્સ વધશે? શું આ તમારી કંપની માટે ખીણ સમાન છે? આના જવાબમાં પીટીએમના સંસ્થાપકે લખ્યું, હવે આ ઝીરો છે! હા, અમે આ ચાર્જ હટાવી દીધો છે.

   હકીકતમાં વૉલેટમાંથી બેંકમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે પેટીએમએ ચાર્જ સહન કરવો પડે છે. જ્યારે કોઈ યૂઝર ક્રેડિટ કે ડેબિટ કાર્ડમાંથી કે પછી બેંક ખાતામાંથી પેટીએમ વૉલેટમાં પૈસા ટ્રાન્સફર કરે છે ત્યારે પેટીએમએ તમારી બેંકને એક નિર્ધારિત રકમ ચૂકવવી પડે છે. આ માટે પેટીએમ તમારી પાસેથી કોઈ ચાર્જ નથી લેતું. પરંતુ જો કોઈ યૂઝર પોતાના વૉલેટમાં પડ્યા રહેલા રૂપિયા જો પરત પોતાની બેંકમાં ટ્રાન્સફર કરે છે તો પેટીએમ આના પર ચાર્જ લગાવે છે. વિજય શેખર સર્માના જણાવ્યા પ્રમાણે પેટીએમ હવે આ ચાર્જ નહીં વસૂલ કરે.

  તાજેતરમાં પેટીએમએ જાણકારી આપી છે કે 15 ઓક્ટોબરથી કોઈ વ્યક્તિ પેટીએમ વૉલેટમાં ક્રેડિટ કાર્ડથી પૈસા ઉમેરશે તો તેણે બે ટકા વધારાનો ચાર્જ યૂકવવો પડશે. આ બે ટકા ચાર્જમાં જીએસટી સામેલ છે. દા.ત. જો કોઈ વ્યક્તિ પોતાના ક્રેડિટ કાર્ડથી પોતાના પેટીએમ વૉલેટમાં 100 રૂપિયા એડ કરે છે તો ક્રેડિટ કાર્ડથી 102 રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે. પહેલા આ નિયમ નવમી ઓક્ટોબરથી જ લાગૂ થવાનો હતો.