સુરતમાં આજે તા.20 ઓક્ટોબરના રોજ CM વિજય રૂપાણીના હસ્તે SMC અને સુરત શહેરી વિકાસ સત્તામંડળના રૂ.201.86 કરોડના વિકાસ પ્રકલ્પોનું ઈ-માધ્યમથી લોકાર્પણ થશે. આ કાર્યક્રમમાં આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણી, મેયર જગદીશ પટેલ, ધારાસભ્યઓ તથા મનપાની વિવિધ સમિતિઓના ચેરમેન તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

કોરોના મહામારીને કારણે છ મહિનાથી વધુ સમયથી તૈયાર ઉદ્ધઘાટનની‌ રાહ જોતાં એવા મહત્વના પ્રોજેક્ટોને શાસકોએ ચૂંટણી પહેલાં ઉદ્ધઘાટન કરવાની તૈયારી હાથ ધરી છે. પાલિકાના કુંભારિયાથી કડોદરા સુધી લંબાવાયેલા બીઆરટીએસ કોરીડોર અને અણુવ્રત દ્વારથી જમનાબા પાર્ક સુધી ત્રણ કિલોમીટર સુધીના કેનાલ રોડ પર સંપૂર્ણ સીસી રોડ ફૂટપાથ, સ્ટ્રીટ લાઈટ-ફર્નિચર કેનાલ બ્યુટિફિકેશન સહિતના પ્રોજેક્ટો તથા 97 કરોડના સુડાના 1200 આવાસો મળી કુલ 201.86 કરોડના પ્રોજેક્ટને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરાશે.

    આ સાથે 17.31 કરોડના ખર્ચે અઠવા ઝોનમાં વેસુ-વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક સીસ્ટમ, 1.42 કરોડના ખર્ચે રાંદેર ઝોનમાં અડાજણ ખાતે શાંતિકુંજ તથા કિલ્લોલકુંજ, પાલનપોર ભેંસાણમાં ગાર્ડન-ગઝેબો-યુરિનલ બ્લોક તથા વરિયાવ-તાડવાડીના યુસીડી સેન્ટરની આગળના ખુલ્લા પ્લોટમાં હેલ્થ સેન્ટરના પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

    લિંબાયત ઝોનના 33 લાખ ખર્ચે પરવટગામમાં આવેલી જુની વોર્ડ ઓફીસની જગ્યામાં સ્માર્ટ આંગણવાડી-કિલ્લોલ કુંજ, 2.92 કરોડના ખર્ચે ગાર્ડન વિભાગના જહાંગીરાબાદ એફ.પી.61માં મોઝેક ગાર્ડન અને ઉગતમાં સ્નેહરશ્મી બોટેનિકલ ગાર્ડનમાં અર્બન હોર્ટીકલ્ચર સેન્ટર-ટેરેસ ગાર્ડન, 2.63 કરોડના ખર્ચે ઉધના ઝોનમાં સમાવિષ્ટ ઉનગામ ખાતે જુની પ્રાથમિક શાળાની જગ્યાએ નવી શાળા તથા 97.32 કરોડના ખર્ચે સુડા વિસ્તારના કુંભારિયાગામના 1200 આવાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે.