નવીન: લોકશાહીમાં જનતાનો અવાજ સર્વોપરી માનવામાં આવે છે, પરંતુ જ્યારે આ જ જનતા પોતાના હક માટે લડનારા ‘આદર્શો’ ને નકારી દે છે, ત્યારે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. મણિપુરની ‘આયર્ન લેડી’ તરીકે ઓળખાતા ઇરોમ શર્મિલાનો કિસ્સો આ બાબતનું જલંત અને કડવું ઉદાહરણ છે.

વર્ષ 2000 માં મણિપુરમાં થયેલા માલમ નરસંહાર બાદ, ઇરોમ શર્મિલાએ સશસ્ત્ર દળો વિશેષાધિકાર અધિનિયમ (AFSPA) વિરુદ્ધ પોતાના ઉપવાસ શરૂ કર્યા હતા. આ કોઈ સામાન્ય વિરોધ નહોતો; આ વિશ્વનો સૌથી લાંબો ઉપવાસ હતો જે સતત 16 વર્ષ સુધી ચાલ્યો. આ સમય દરમિયાન તેમને આત્મહત્યાના પ્રયાસના આરોપ હેઠળ કસ્ટડીમાં રાખવામાં આવ્યા અને નાક વાટે ટ્યુબ દ્વારા જબરદસ્તી પ્રવાહી ખોરાક આપી જીવતા રાખવામાં આવ્યા હતા.

2016 માં જ્યારે તેમણે ઉપવાસ તોડીને લોકશાહી પ્રક્રિયા દ્વારા પરિવર્તન લાવવાનો નિર્ણય કર્યો અને 2017 ની વિધાનસભા ચૂંટણી લડી, ત્યારે પરિણામો અત્યંત નિરાશાજનક રહ્યા. 16 વર્ષ સુધી જે પ્રજા માટે તેમણે પોતાનું યુવાની અને સ્વાસ્થ્ય હોમી દીધું, તે જ પ્રજાએ તેમને માત્ર ૯૦ મતો આપ્યા. તેમના કરતા વધુ મતો તો ‘નોટા’ (NOTA) ને મળ્યા હતા.

આ ઘટના આપણી સામાજિક માનસિકતા પર સવાલ ઉઠાવે છે. જો ઇતિહાસમાં આપણા પૂર્વજોએ માત્ર અંગ્રેજોની સત્તા સામે નમતું જોખ્યું હોત અને પોતાના સ્વાર્થને જ સર્વોપરી માન્યો હોત, તો દેશ આજે પણ ગુલામીની સાંકળોમાં જકડાયેલો હોત. ઇરોમ શર્મિલાને મળેલી હાર એ માત્ર તેમની હાર નથી, પણ એ વિચારધારાની હાર છે જે અન્યાય સામે અડગ ઊભા રહેવાની હિંમત આપે છે. જે પ્રજા પોતાના માટે લડનારા નાયકોને ઓળખી શકતી નથી, તે પ્રજા ઘણીવાર અન્યાયી શાસનનો ભોગ બનતી રહે છે.”

આ કિસ્સો સાબિત કરે છે કે સત્તા અને સ્વાર્થની વિચારધારા જ્યારે સિદ્ધાંતો પર હાવી થઈ જાય છે, ત્યારે લોકશાહી તેના સાચા અર્થ ગુમાવી બેસે છે. ઇરોમ શર્મિલા આજે કદાચ રાજકારણમાં સક્રિય નથી, પરંતુ તેમનો 16 વર્ષનો સંઘર્ષ હંમેશા એ યાદ અપાવતો રહેશે કે પરિવર્તન માટે માત્ર નેતાની મક્કમતા પૂરતી નથી, જનતાની જાગૃતિ પણ એટલી જ અનિવાર્ય છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here