ભારતના ૧૪ માં વડાપ્રધાન એક કુશળ રાજનેતા, એક વિદ્વાન, વિચારક અને એક અનુભવી અર્થશાસ્ત્રીનાં રુપમાં જેમની ખ્યાતિપ્રાપ્ત, કુશળ અને ઈમાનદાર છબી ધરાવનાર દરેક રાજનૈતિક દળોમાં તેમની સારી શાખ છે એવા ડૉ. મનમોહન સિંહનો આજે જન્મદિવસ છે.
     મનમોહન સિંહનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ૨૬ સપ્ટેમ્બર ૧૯૩૨માં થયો હતો. દેશના વિભાજન બાદ તેમનો પરિવાર ભારતમાં આવ્યો. અહીં પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી તેમણે સ્નાતક તથા સ્નાતકોત્તર સ્તરનો અભ્યાસ પૂરો કર્યો. બાદમાં તેઓ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય ગયા, જ્યાંથી તેમણે પી.એચ.ડી. કરી. આ પછી તેમણે ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાંથી ડી.ફિલ. પણ કર્યુ.તેમણે આ દરમિયાન એક પુસ્તક પણ લખ્યું જે ‘ઇંડિયાઝ એક્સપોર્ટ ટ્રેંડ્સ એંડ પ્રોસ્પેક્ટ્સ ફૉર સેલ્ફ સસ્ટેંડ ગ્રોથ’ અંગ્રેજીમાં ‘India’s Export Trends and Prospects for Self-Sustained Growth’ના ટાઈટલથી પ્રસિદ્ધ થયું. જે ભારતની અન્તર્મુખી વ્યાપાર નીતિની પહેલી અને તીવ્ર આલોચના મનાય છે.
      ડૉ. સિંહે અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે ઘણી ખ્યાતિ મેળવી. તેઓ પંજાબ વિશ્વવિદ્યાલય અને બાદમાં પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં પ્રાધ્યાપક રહ્યાં. આ વચ્ચે તેઓ UNCTAD સચિવાલયમાં સલાહકાર પણ રહ્યાં અને ૧૯૮૭ તથા ૧૯૯૦માં જીનીવામાં સાઉથ કમીશનમાં સચિવ પણ રહ્યાં છે. ૧૯૭૧માં ડૉ. સિંહની ભારતના નાણા મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે નિમુણક કરવામાં આવી. આના તુરંત બાદ ૧૯૭૨માં તેમને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બનાવાયા. ત્યાર પછીના વર્ષોંમાં તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર, વડાપ્રધાનના સલાહકાર અને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના અધ્યક્ષ રહ્યાં.
     ભારતના આર્થિક ઇતિહાસમાં હાલના વર્ષોમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે ડો. સિંહ ૧૯૯૧ થી ૧૯૯૬ સુધી ભારતના નાણામંત્રી રહ્યાં. તેમને ભારતના આર્થિક સુધારાના પ્રણેતા મનાય છે. ૨૦૦૯માં થયેલી લોકસભાની ચુંટણીમાં મળેલી જીત પછી, તેઓ જવાહરલાલ નેહરુ પછીનાં ભારતના પહેલા એવા વડાપ્રધાન બન્યા છે કે જેમને એક વખત પાંચ વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી ફરી વખત વડાપ્રધાન પદ પ્રાપ્ત થયું હોય. તેમને  જૂન ૨૧, ૧૯૯૧થી ૧૬  મે, ૧૯૯૬ સુધી નરસિંહરાવની સરકારમાં નાણા મંત્રીનો હોદ્દો પણ સંભાળ્યો હતો. નાણામંત્રી તરીકે તેમણે ભારતમાં આર્થિક સુધારાઓની શરુઆત કરી. ૨૮ ફેબ્રુઆરીએ તેઓ સાઉદી અરેબિયાની યાત્રા પર ગયા હતા. આ સાથે જ ૧૯૮૨ બાદ સાઉદી અરબની યાત્રા કરનારા તેઓ પહેલા વડાપ્રધાન બન્યા છે. ડો. સિંહના પરિવારમાં તેમની પત્ની શ્રીમતિ ગુરશરણ કૌર અને તેમની ત્રણ પુત્રીઓ છે.
  તેમના જીવનના મહત્વના પડાવોની વાત કરીએ તો ઈ.સ ૧૯૫૭-૧૯૬૪ ચંડીગઢ સ્થિત પંજાબ વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક થયા. ઈ.સ ૧૯૬૯-૧૯૭૧માં દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં અંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રોફેસર અને ૧૯૭૬ દિલ્હીના જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં માનદ પ્રોફેસર તરીકે રહ્યા.  ઈ.સ ૧૯૮૨-૧૯૮૫માં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર તથા ૧૯૮૫-૧૯૮૭માં યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળ્યો. ઈ.સ ૧૯૮૭માં પદ્મભૂષણ અને ઈ.સ ૧૯૯૦-૧૯૯૧માં ભારતીય વડાપ્રધાનના આર્થિક સલાહકાર રહ્યા. ઈ.સ ૧૯૯૧માં નરસિંહરાવના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકારમાં નાણા મંત્રીનો હોદ્દો સંભાળ્યો. ઈ.સ ૧૯૯૧માં આસામની સીટ પર રાજ્ય સભાના સભ્ય બન્યા. ઈ.સ ૧૯૯૫માં બીજી વખત રાજ્યસભાના સભ્ય ૧૯૯૬ રહ્યા. ઈ.સ ૧૯૯૯માં દક્ષિણ દિલ્હીમાંથી લોકસભાની ચુંટણી લડયા પણ હારી ગયા અને ૨૦૦૧માં ત્રીજી વખત રાજ્યસભાના સભ્ય અને સંસદ વિપક્ષના નેતા બન્યા ૨૦૦૪માં ભારતના વડાપ્રધાન બન્યા હતા. તેઓ અંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને એશિયાઈ વિકાસ બેંક માટે પણ કામ કરી ચુક્યા છે.
   તેમને મળેલા પુરસ્કાર અને સન્માનની વાત કરીએ તો  ભારતના સાર્વજનિક જીવનમાં ડો. સિંહને ઘણાં પુરસ્કાર અને સન્માન મળ્યાં છે.  જેમાં પ્રમુખ ઈ.સ ૧૯૮૭ માં પદ્મવિભૂષણ ,ઈ.સ ૧૯૯૫ માં ઇંડિયન સાઇંસ કાંગ્રેસનો જવાહરલાલ નેહરૂ પુરસ્કાર, ઈ.સ ૧૯૯૩ અને ૧૯૯૪નો એશિયા મની અવાર્ડ ફૉર ફાઇનાંસ મિનિસ્ટર ઑફ ધ ઇયર મળ્યો હતો. ઈ.સ ૧૯૯૪માં  યૂરો મની અવાર્ડ ફૉર ધ ફાઇનાંસ મિનિસ્ટર ઑફ ધ ઇયર અને ૧૯૫૬માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયનો ઍડમ સ્મિથ પુરસ્કાર જેવા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. ડૉ. સિંહે ઘણાં રાષ્ટ્રીય અને અંતર્રાષ્ટ્રીય સંગઠનોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ છે. ભારતના આવા મહાનતમ ખ્યાતી પ્રાપ્ત ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને જન્મદિવસની ખુબ ખુબ  શુભેચ્છાઓ. તેમના રાજકીય જીવનકાળ દરમિયાન લીધેલા નિર્ણયોને આજે પણ લોકો યાદ છે એ જ એમની ઉપલબ્ધિની ઊંચાઈઓ બતાવે છે.