વલસાડ: ગતરોજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના હજારો પશુપાલકો માટે આધારસ્તંભ સમાન વલસાડ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (વસુધારા ડેરી)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે લાંબા સમય સુધી સફળતાપૂર્વક સેવાઓ આપનાર અને ડેરીના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપનાર સ્વર્ગસ્થ શ્રી નરેન્દ્રભાઈ વશીના દુઃખદ અવસાન બાદ તેમને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને આગેવાનો સાથે ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ નરેન્દ્રભાઈ વશીના આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ તેમના શોકગ્રસ્ત પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરી દિલસોજી અને સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી.
સ્વ. નરેન્દ્રભાઈ વશીએ પોતાના કાર્યકાળ દરમિયાન વસુધારા ડેરીની પ્રગતિ અને પશુપાલકોના ઉત્કર્ષ માટે ભગીરથ કાર્ય કર્યું હતું, જેને સહકારી ક્ષેત્રમાં હંમેશા યાદ રાખવામાં આવશે. ઉપસ્થિત સહુ કોઈએ ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી કે પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં ચિરશાંતિ અર્પે અને પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.











