ઉકાઈ: ઉકાઈ તાલુકાના ખેરવાડા ગામના ગામતળાવ ફળિયામાં છેલ્લા 25 થી 30 વર્ષથી પાકા રસ્તાની માંગ અધરી પડી છે. આ કાચા રસ્તાને કારણે સ્થાનિક ગ્રામજનો રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વરસાદી મોસમમાં આ રસ્તો ખાડાઓ અને કાદવથી ભરાઈ જાય છે, જેના કારણે સ્કૂલ જતા નાના બાળકોને ભારે હાલાકી વેઠવી પડે છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ઈમરજન્સી સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવું પણ મોટી સમસ્યા બની જાય છે. વૃદ્ધો અને મહિલાઓને પણ આ રસ્તા પરથી આવ-જા કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગ્રામજનોએ જણાવ્યું કે છેલ્લા અનેક વર્ષોમાં સંબંધિત અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ દર વખતે માત્ર એક જ વાગ્યો સાંભળવા મળે છે – “રોડ બની જશે.” વર્ષો વીતી ગયા છતાં આ વાદા પર અમલ થયો નથી.
એક સ્થાનિક યુવકે કહ્યું, “અમારા બાળકોને શાળાએ જવા માટે પણ આટલી મુશ્કેલી વેઠવી પડે છે તો વિકાસની વાત ક્યાં રહી ? વરસાદ પડે ત્યારે તો ગાડી કે બાઇક પણ ફસાઈ જાય છે. અમે હવે માત્ર વાદા નહીં, પરંતુ વાસ્તવિક કામ જોઈએ છીએ.” ગામના લોકો હવે તંત્ર સમક્ષ તાત્કાલિક પાકા રસ્તાનું નિર્માણ કરવાની માંગ કરી રહ્યા છે જેથી ગામના તમામ વર્ગના લોકોને રોજિંદા જીવનની આ મૂળભૂત સુવિધાથી વંચિત રહેવું ન પડે. આ મામલે સંબંધિત વિભાગનું ધ્યાન આકર્ષિત થાય અને ગામના લોકોની આ વેદનાનો વહેલી તકે ઉકેલ આવે તેવી અપેક્ષા છે.











