ખેરગામ: આજરોજ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ખેરગામ તાલુકાના ગૌરી ખાતેની આશ્રમશાળાની સ્થળ મુલાકાત લઈ ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશ પટેલે વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની વિગતવાર સમીક્ષા કરી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ મંત્રી નરેશ પટેલે આશ્રમશાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને શૈક્ષણિક વ્યવસ્થા, નિવાસીય સુવિધાઓ, ભોજન વ્યવસ્થા તેમજ અન્ય આવશ્યક મૂળભૂત સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરીને તેમણે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
મંત્રીએ જણાવ્યું કે, “આશ્રમશાળામાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ સાથે ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવી અને તેમના સર્વાંગી વિકાસને વેગ આપવો એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વિદ્યાર્થીઓનું ઉજ્જ્વળ ભવિષ્ય જ અમારું લક્ષ્ય છે.” આ મુલાકાત દરમિયાન સ્થાનિક અધિકારીઓ અને આશ્રમશાળાના સંચાલકોએ પણ વર્તમાન વ્યવસ્થા અને આગામી યોજનાઓ અંગે વિગતો આપી હતી. મંત્રીએ સુવિધાઓમાં વધુ સુધારણા માટે તાત્કાલિક પગલાં લેવા અધિકારીઓને સૂચના આપી હતી.











