નવસારી: ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં નવસારી કોર્ટમાં મોટી અણધારી વિકસતી ઘટના સામે આવી છે. ગત રોજ કોર્ટમાં હાજરી આપવા માટે અનંત પટેલ તેમના સાથીઓ સાથે હાજર રહ્યા હતા, પરંતુ જજની અચાનક બદલી થતાં સમગ્ર કાર્યવાહી મુલતવી રાખવામાં આવી છે.

કોર્ટ સૂત્રો અનુસાર, ગત રોજ સરકારી વકીલ પણ હાજર ન હતા. આ કારણે કેસની સુનાવણી ન થઈ શકી અને આગામી તારીખ 30 મેની નક્કી કરવામાં આવી છે. અનંત પટેલ તરફથી વકીલ પરેશભાઈ વાટ વેચાએ કેસને ખારીજ કરવાની અપીલ કરી હતી, પરંતુ જજની બદલીને કારણે તેની સુનાવણી થઈ શકી નહીં.

અનંત પટેલે કોર્ટ પહોંચતા પહેલા જણાવ્યું હતું કે, “ખેરગામમાં મારા પર થયેલા જીવલેણ હુમલામાં વહીવટી તંત્ર દ્વારા મારા પર જ ખોટી FIR નોંધવામાં આવી છે. અમે ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ રાખીને કોર્ટમાં હાજર થયા હતા, પરંતુ જજની બદલીથી ફરી વિલંબ થયો છે.” તેમણે વધુમાં કહ્યું, “છેલ્લા કેટલાક વર્ષોથી અમે ગુનેગાર ન હોવા છતાં ધક્કા ખાઈ રહ્યા છીએ. ક્યારે ન્યાય મળશે એની રાહ જોઈ રહ્યા છીએ.”

કલ્પેશ પટેલ જણાવે છે કે આ કેસમાં અનંત પટેલ અને તેમના સાથીઓ સામે ખોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હવે 30 મેના રોજ નવસારી કોર્ટમાં આ મામલે શું નિર્ણય આવે છે તેની સ્થાનિક લોકો અને રાજકીય વર્તુળોમાં રસપ્રદ ચર્ચા ચાલી રહી છે. આ કેસની તમામ પક્ષકારો દ્વારા ન્યાયની અપેક્ષા છે. વધુ વિકાસ માટે ૩૦ મેની તારીખની રાહ જોવાઈ રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here