ગુજરાત: ભારત આદિવાસી પાર્ટી (BAP) એ આદિવાસી સમાજના હક્ક, સ્વાભિમાન અને અસ્તિત્વ માટેની એક મજબૂત રાજકીય ચળવળ તરીકે પોતાને વ્યક્ત કરી છે. પાર્ટીનું કહેવું છે કે વર્ષોથી આદિવાસી સમાજને માત્ર વોટબેંક તરીકે જોઈને તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે તેમના મૂળભૂત પ્રશ્નોને અવગણવામાં આવ્યા છે.
BAPના આગેવાનોના જણાવ્યા મુજબ, “જલ, જંગલ અને જમીન” આદિવાસીઓનું અધિકાર છે, છતાં તેઓ પોતાના હક્ક માટે સતત સંઘર્ષ કરવા મજબૂર છે. પાર્ટીએ આદિવાસી સમાજની મુખ્ય સમસ્યાઓને રેખાંકિત કરી છે જેમાં શિક્ષણનો અભાવ, આરોગ્ય સુવિધાઓની અવહેલના, રોજગારની તંગી, જબરદસ્તી વિસ્થાપન, જંગલ અને જમીનના અધિકારો અને Forest Rights Act (FRA)નો અમલ ન થવો જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
પાર્ટીના મતે, BAP માત્ર એક રાજકીય પાર્ટી નથી પરંતુ આદિવાસીઓની પોતાની સ્વતંત્ર અવાજ છે. તેમણે ભાર મૂક્યો છે કે પાર્ટીના નિર્ણયો કોઈ મોટા ઉદ્યોગપતિઓ કે દિલ્હી-મુંબઈની ઓફિસોમાંથી નહીં, પરંતુ ગામડાં, ફળિયા અને જમીની સ્તરે આદિવાસી લોકોની “આમરાય”થી લેવામાં આવે છે.પાર્ટીએ કહ્યું છે કે “હવે જાગૃતિનો સમય છે. આદિવાસી સમાજે પોતાના હક્ક માટે પોતાનો અવાજ ઊંચો કરવો જોઈએ, કારણ કે જે સમાજ લડે છે, ઈતિહાસ તેના પક્ષમાં ઊભો રહે છે.” આ વિધાનો સાથે ભારત આદિવાસી પાર્ટી (BAP) આગામી ચૂંટણીઓ અને આદિવાસી વિસ્તારોમાં સ્વતંત્ર અવાજ તરીકે પોતાની હાજરી મજબૂત કરવાની તૈયારીમાં છે.











