વાંસદા: ગુજરાતમાં નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાશો તો જપ્ત થયેલા વાહનોની હવે તત્કાળ હરાજી થશે. નશાબંધી અધિનિયમ- 1949માં વટહુકમથી સુધારો અમલમાં આવશે. પોલીસ સ્ટેશનમાં પડયા રહીને ભંગાર થતા લક્ઝુરિયર્સ અને હેવી વ્હીક્લની હરાજીથી આવક મેળવાશે.

Decision News ને મળેલી માહિતી મુજબ રાજ્ય સરકારે નશાબંધી અધિનિયમ- 1949 હેઠળ રાજ્યસાત થતા વાહનોના તત્કાળ હરાજીથી વેચાણ માટે વટહુકમ દ્વારા કાયદામાં સુધારો કર્યો છે. જેને રાજ્યપાલની મંજૂરી બાદ એકાદ સપ્તાહથી અમલમાં આવશે. વિધાનસભાનું ચોમાસુ સત્ર નજીકના સમયમાં યોજાનાર છે, છતાંયે વટહુકમથી કાયદામાં સુધારા પાછળ સરકારે 15 ઓગસ્ટ પહેલા કંડમ વાહનોનો નિકાલનો લક્ષ્યાંક રાખ્યો હોવાનું જાણવા મળ્યુ છે. સરકારે વર્ષ 1947ના નશાબંધી એક્ટ હેઠળ દંડ અને સજામાં વધારો તેમજ વાહન જપ્તી માટે ફેબ્રુઆરી- 2017માં કાયદો સુધાર્યો હતો.

જો કે, પોલીસ દ્વારા જપ્ત થતા વાહનોના નિકાલની કોઈ મર્યાદા નિશ્ચિત થઈ નહોતી. એથી, પાંચ-છ વર્ષમાં દારૂનુ પરીવહન, વેચાણ, ખરીદ અને સંગ્રહ કે સેવનના ગુના હેઠળ જપ્ત વાહનોનો પોલીસ સ્ટેશનના કંમ્પાઉન્ડમાં ઢગલો થઈ રહ્યો છે. એક અંદાજે પાંચ વર્ષમાં 55,000થી વધારે વાહનો પોલીસે નશાબંધી એક્ટ હેઠળ જપ્ત કર્યા છે. જેમાંથી 31 હજાર વાહનોને બોન્ડ કે અન્ય ન્યાયિક પ્રક્રિયાને આધિન મુક્ત કરવામાં આવ્યા છે. હવે સરકારે કાયદાની કલમ- 98માં સુધારો કરીને કોર્ટના આખરી ચુકાદા સુધી, બોન્ડ અથવા જામીન પર આવા વાહનો મુક્ત કરી શકાશે નહી અર્થાત વાહન જપ્ત જ થશે. તેવી જોગવાઈ સાથે આવા વાહનોને હરાજીથી વેચાણ કરી શકાશે. તેવો સુધારો સુચવ્યો છે. જે અંગે તૈયાર થયેલા વટહુકમમા તત્કાળ હરાજીનો અધિકાર નાયબ પોલીસ અધિક્ષક- Dy.SP કે તેને સમકક્ષ અધિકારીને સોંપવાની દરખાસ્ત છે.