વલસાડ : તા. ૧૩ થી ૧૫ માર્ચ ૨૦૨૩ના રોજ હળવાથી મધ્યમ કમોસમી વરસાદ/ગાજવીજ સાથે પડી શકે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે.

Decision News ને મળેલી માહિતી મુજબ કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવી અથવા પ્લાસ્ટીક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવુ અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતુ અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો, એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરી સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે.

        એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, આ દિવસો દરમિયાન વેચાણ અર્થે આવતી પેદાશો ખરીદવાનું ટાળવુ અથવા સુરક્ષિત રાખવી જરૂરી છે. આ અંગે વધુ જાણકારી માટે જિલ્લા ખેતીવાડી વિભાગ, કપરાડા તાલુકાના અંભેટી ગામમાં સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પારડીના પરિયામાં સ્થિત કૃષિ સંશોધન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટરનો ટોલ ફ્રી નં. ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક કરવા વલસાડ જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.