વલસાડ: આજરોજ વલસાડ જિલ્લામાં ઔરંગા નદી પર ગુંદલાવ-છીપવાડ વિસ્તારને જોડતા કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા પુલનું નિર્માણ કામ સંપૂર્ણપણે ખોરંભે પડી જતાં ચોમાસાની મોસમમાં હજારો રાહદારીઓને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખેરગામના પ્રમુખ યુથ લીડર, ગોલ્ડ મેડલિસ્ટ અને જાણીતા સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલએ આ મુદ્દે મુખ્યમંત્રીને વિગતવાર પત્ર લખીને સ્થાનિક જનતાની વેદના રજૂ કરી છે. પત્રમાં તેમણે પ્રોજેક્ટની શરૂઆતથી જ વહીવટી સ્તરે થયેલી ગંભીર ક્ષતિઓ અને શંકાસ્પદ બેદરકારીના મુદ્દા ઉઠાવ્યા છે.

મુખ્ય પ્રશ્નો ઉઠાવ્યા:
1. સ્થળ તપાસ વિના ડિઝાઇન: જવાબદાર એન્જિનિયરોએ સ્થળની ભૌગોલિક તપાસ કર્યા વગર એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસીને પુલનું ડિઝાઇન તૈયાર કર્યું હતું કે કેમ?
2. જમીન માલિકીનો વિવાદ: જે જમીન સરકારના હસ્તક નહોતી, તેની વહીવટી મંજૂરી કે ક્લિયરન્સ વિના કરોડો રૂપિયાનું ફંડ કેવી રીતે મંજૂર થઈ ગયું?
3. અધિકારીઓની ભૂમિકા: સ્થાનિક માર્ગ અને મકાન વિભાગ (R&B)ના અધિકારીઓએ કઈ તપાસના આધારે પ્રોજેક્ટને લીલી ઝંડી આપી અને ખાતમુહૂર્ત સુધી વાત પહોંચવા દીધી?

ડો. પટેલે પત્રમાં ભાર મૂક્યો છે કે “સરકારી નાણાં જનતાના ટેક્સના પૈસા છે. તેનો આ પ્રકારનો વ્યય સીધો ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગનું સૂચન કરે છે.”

કડક માંગણીઓ:
• આખા પ્રોજેક્ટના આયોજન, મંજૂરી અને ડિઝાઇનની તટસ્થ તપાસ માટે ઉચ્ચ સ્તરીય SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવે.
• સ્થળ તપાસ વગર ખોટા રિપોર્ટ તૈયાર કરનાર ટેક્નિકલ એન્જિનિયરો અને R&B વિભાગના જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અને કાયમી સસ્પેન્શન કરીને ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવે.
• ભ્રષ્ટાચાર કે બેદરકારી સાબિત થાય તો સરકારી નાણાંની નુકસાની અધિકારીઓ તથા એજન્સીઓ પાસેથી વસૂલ કરવામાં આવે.
• જમીન સંપાદન અને ટેક્નિકલ ખામીઓનું નિરાકરણ લાવી યુદ્ધના ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરીને પુલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, જેથી સ્થાનિક જનતાને ન્યાય મળે.

ડો. નિરવ પટેલે ગુજરાત સરકારની ‘ઝીરો ટોલરન્સ ફોર કરપ્શન’ અને ‘ઓપરેશન ગંગાજળ’ અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવશે એવી આશા વ્યક્ત કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ચોમાસામાં નદી પાર કરવી અત્યંત જોખમી અને સમય માર્ગી બની ગઈ છે. આ મામલે સરકાર તરફથી શી કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here