વાંસદા-ચીખલી-ખેરગામ જેવા ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી એસ.ટી.બસો, જેમાં રાત્રિ રોકાણ કરતી બસો છેલ્લા 3 મહિનાથી અચાનક બંધ કરવા આવવાથી વિદ્યાર્થીઓને, નોકરીયાતો અને ગામના લોકોને ખુબ જ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ બાબતે વાંસદા-ચીખલીના ધારાસભ્યએ વલસાડ વિભાગીય કચેરીના વડાને પત્ર લખી સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવા જણાવ્યું છે.
લોકનેતા અનંત પટેલ જણાવે છે કે છેલ્લા ત્રણ મહિનાથી ચાલતી રેગ્યુલર બસ અચાનક બંધ કરવામાં આવતાં વાંસદા ગ્રામ્ય વિસ્તારના સરપંચો, આગેવાનો અને ચીખલી, ખેરગામ ગ્રામ્ય વિસ્તારના આગેવાનો દ્વારા મારી પાસે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે આ સંદર્ભે મેં વલસાડ વિભાગીય કચેરીના વડાને પત્ર પણ લખ્યો છે. હાલમાં એસ.ટી.નિગમના આ રવૈયાના કારણે ગામડામાંથી શહેરોમાં અપડાઉન કરતાં મુસાફરોનું રોજીંદા જીવન પણ મુશ્કેલી ઉભી થઇ છે. મારા આદિવાસી સમાજના છેવાડાના લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે.
ત્યારે હું એસ.ટી. નિગમના વિભાગીય કચેરીના વડાને કહેવા માંગું છું જો 7 દિવસમાં બસ રેગ્યુલર રૂપે ચાલુ કરવામાં નહીં આવે તો ‘બસ રોકો’ આંદોલન થશે અને ‘વાંસદાના અંતરિયાળ ગામડાઓમાં બસના પૈંડા ન દોડયા તો અધિકારીઓ દોડતા થઇ જશે’

