નવીન: Sahitya Sangeet Group દ્વારા ફેસબૂક એકાઉન્ટ પર મુકેલા અનિલ પઢીયારના અહેવાલ અનુસાર પૂજ્ય શ્રી જલારામ બાપાના અસલી ફોટા વિષેની જાણકારી આ પ્રમાણે છે..કે  “ગોંડલના દિવાન પ્રાણશંકર જોષી સાહેબ ઇ.સ 1952માં લગભગ 85 વરસના હતા. પ્રખર વિદ્વાન અને ચારિત્ર્યશીલ એમનું વ્યક્તિત્વ. એ અને મહાત્મા ગાંધી શામળદાસ કોલેજમાં સાથે ભણતા. એ સમયે એમણે એક મુલાકાતમાં બાપાના આ ફોટા વિશે અધિકૃત વાત કરેલી છે. જે રોમાંચક છે.

જલારામ બાપાનો સમયકાળ તા.4 /11/1799 થી તા.23/2/1881 સુધી..કારતક સુદ સાતમ સોમવાર વિક્રમ સંવત 1856 થી મહા વદ દસમ,બુધવાર વિક્રમ સંવત 1937) જલારામ બાપાને દિવાનશ્રી પ્રાણશંકર જોષી સાહેબે નાનકડી ઉંમરે જોયેલા. ભકતમંડળી સાથે કિર્તન કરતા. એ વખતે ગોંડલ સ્ટેટની જાહોજલાલી ઉચ્ચસ્થાને હતી. ગોંડલનરેશ જલાભગતને અહોભાવથી માન આપતા, સદાવ્રત માટે મદદ કરતા. જોષી સાહેબના મામા કલ્યાણજીભાઇ એ જમાનામાં નવી નવી ગણાતી ફોટોગ્રાફીના શોખીન હતા. એમનો એક મિત્ર નામે Anson જે ડેન્માર્કનો વતની હતો અને ફોટોગ્રાફીમાં નિષ્ણાત હતો. આ બંને જણાએ ભેગા મળી રાજકોટમાં એ વખતે Anson & Kalyanji એ નામે સ્ટુડીયો શરૂ કરેલો. એમાં મુહૂર્તમાં કોઇ પવિત્ર માણસનો ફોટો લેવો એવું નકકી કરેલ અને એ વખતે કાઠિયાવાડમાં જલાભગત એક પવિત્ર સંત તરીકે લોકોમાં ખુબ જ જાણીતા હતા. એટલે આ બંને મિત્રો સામગ્રી સાથે વિરપુર પહોંચ્યા.એ વખતે વિશાળ કેમેરા અને બેકગ્રાઉન્ડ ગોઠવવામાં દિવસો લાગતા. બાપા એ વખતે વયોવૃદ્ધ હતા.

વિરપુરનું સદાવ્રત ધમધમતું હતું. એની ખીચડીનો સ્વાદ આજની માફક જ એ વખતે પણ સ્વર્ગીય હતો. બંને મિત્રોએ જલાભગતને ફોટો પડાવવા વિનંતી કરી. બાપા એ નમ્રપણે ઇન્કાર કર્યો અને કહ્યું “મારા તે વળી ફોટા હોય ? તમારે ફોટો લેવો હોય તો મહારાજ સાહેબ છે. આ બાજુમાં ઉભી છે એ ગાય માતાનો લ્યો. કોઇ પારેવાનો ફોટો લો..સાધુઓ પણ છે…હું તો એક પામર વ્યકિત છું.. ” પણ આ બંને દોસ્તો આજીજી કરી બાપાના ચરણોમાં પડયા. એમને દુ:ખી થતા જોઇ બાપાનું ભકત હદય પીગળી ગયું અને આ ‘ઐતિહાસિક કલીક’ આપણને મળી. બંને મિત્રો બાપાને વંદન કરી, પ્રસાદ લઇ રાજકોટના રસ્તે પડયા.

એ વખતે ફોટા ધોવા માટે પણ જટિલ અને લાંબી પ્રક્રિયા હતી. Vet Process થી એ કામ થતું. મોટી સ્લાઇડોને પાણીથી ધોવામાં આવતી. એ વખતે એટલું બધું પાણી ઢોળાતું કે શેરીઓમાં જોવા મળતું. રાજકોટની ખીજડા શેરીમાં આવેલા એ સ્ટુડીયોમાં જલાભગતનો આ ફોટો આ રીતે જ તસવીર સ્વરૂપ પામ્યો. શરૂઆતમાં એ ગોંડલનરેશ અને દિવાનસાહેબની અંગત લાયબ્રેરીમાં જ પડેલો હતો. પરંતું બાપાના ભકતોની લાગણી જોઇ એ પ્રજા સમક્ષ “વાઇરલ” પણ થઇ જ ગયો. બાપાની હયાતીનો એકમાત્ર આ ડોકયુમેન્ટ આપણી મોંઘી વિરાસત છે. એમાં બાપાની ડાબી આંખ સ્હેજ બીડાયેલી છે. કદાચ મોતિયો પણ હોઇ શકે. એ જમાનાની કાઠિયાવાડી પાઘડી અને અંગરખું અને ચહેરા ઉપરની અદભુત આભા આબેહૂબ એક ડેનિશ કલાકારે કંડાર્યાં છે. આજે આ ફોટો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્રબિંદુ છે.