વલસાડ: આજરોજ વલસાડના જિલ્લામાં લમ્પી વાયરસને ઉગતો જ ડામી દેવાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ સોમવારે પશુ પાલન ખાતાની તાકીદની મીટિંગ બોલાવી હતી, જેમાં 100 ટકા રસીકરણ અને સર્વે માટે 30 ટીમ કાર્યરત હોવાનું જણાવ્યું હતું. બાદમાં ડીડીઓશ્રીએ વલસાડના ભાગડાવડાની ગૌશાળાની પણ મુલાકાત લઈ લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતા પશુઓની સારવાર અંગે માહિતી મેળવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ જિલ્લામાં લમ્પી વાયરસના ગાય વર્ગના 5 પશુમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. જે પૈકી 1નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ તે પણ હાલમાં સંપૂર્ણ સ્વસ્થ છે. પશુપાલન શાખા દ્વારા શરૂઆતથી જ તાત્કાલિક અસરથી સારવાર આપવામાં આવી હોવાથી હાલમાં 5 પૈકી 4 પશુમાં રિકવરી આવતા રાહત અનુભવાઈ છે. હવે માત્ર 1 શંકાસ્પદ છે જે સારવાર હેઠળ છે.

વલસાડ જિલ્લામાં તકેદારીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ સોમવારે વલસાડ જિલ્લા પંચાયતના સભાખંડમાં પશુપાલન વિભાગની મહત્વની મીટિંગ બોલાવી હતી. જેમાં ડીડીઓશ્રી ગુરવાનીએ તાલુકા વાઈઝ લાઈઝનીંગ ઓફિસરની નિમણૂંક કરી રસીકરણ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે વલસાડ જિલ્લાની 32 ગૌશાળામાં 2783 પશુધન અને જિલ્લાની એક માત્ર વાપી ખાતેની પાંજરાપોળમાં 1042 પશુધનનું 100 ટકા રસીકરણ તાત્કાલિક અસરથી કરવા સૂચના આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, સર્વે અને રસીકરણની કામગીરી માટે પશુપાલન અને જીવીકે 10 એમવીડીની 30 ટીમ કાર્યરત છે. જિલ્લામાં અત્યાર સુધીમાં વલસાડ તાલુકામાં 300, પારડીમાં 450 અને ઉમરગામમાં 100 પશુ મળી કુલ 850 પશુધનનું રસીકરણ કરી દેવાયું છે. જેમાં તાલુકાવાર વિગત જોઈએ તો વલસાડમાં 300, પારડીમાં 450 અને ઉમરગામમાં 100 નો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી તુરંત જ રસીકરણના 11300ના ડોઝ ખરીદવામાં આવ્યા છે. રખડતા પશુઓના રસીકરણ માટે પણ પશુપાલન શાખા અને વલસાડ-વાપીની નગર પાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત સાથે મળીને રસીકરણની કામગીરી કરાશે.

વલસાડ જિલ્લા પશુપાલન શાખાના નાયબ પશુપાલન નિયામક પી.જે.દેસાઈએ જણાવ્યું કે,સૌપ્રથમ તા. 16 જુલાઈના રોજ ઉમરગામ તાલુકાના ફણસામાં એક પશુપાલકને ત્યાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો 2 ગાય વર્ગમાં જણાયા હતા. જેથી લોહીના નમૂના, નાકનો સ્ત્રાવ અને ચેપગ્રસ્ત ચામડીના ભીંગડાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવતા 2 પૈકી માત્ર 1 કેસ પોઝિટિવ જણાયો હતો. જેની પહેલા દિવસથી જ સારવાર ચાલુ કરી દીધી હોવાથી હાલમાં સંપૂર્ણપણે રિકવરી થઈ ગઈ છે. તા. 29 જુલાઈના રોજ વલસાડના તીથલ રોડ પર ભાગડાવડાની ગૌશાળામાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 3 કેસ ગાય વર્ગમાં જોવા મળ્યા હતા. જે પૈકી 2ની રિકવરી થઈ ગઈ છે માત્ર 1ની સારવાર ચાલુ છે. જો કે આ ત્રણેયના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી.