ગુજરાત રાજ્યના આદિવાસી બાહુલ્ય ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લામાં આદિ અનાદી કાળથી એક પરંપરા રહી છે કે ગામની સીમમાં બિરાજમાન આદિવાસી દેવી દેવતાના ઘોડા તેમજ લાકડામાંથી ઘડવામાં આવેલા દેવ પ્રતીકો જૂના થઈ જાય તો જૂના દેવ પ્રતીકો દૂર કરી વિધિવત રીતે ગામ લોકો ભેગા મળીને દેવ ની પેઢી બદલવાની આદિવાસી રીત રિવાજ પ્રમાણે વિધિ ઓ કરવામાં આવે છે જેનાં ભાગરુપે છોટાઉદેપુર જિલ્લાના લગામી ગામે બુધવારના રોજ વર્ષો જૂની આ પરંપરા મુજબ ઘોડા અને દેવ પ્રતીકો બદલ્યા હતા. અહીંના આદિવાસીઓ હંમેશા પ્રકૃતિ પુજામા માને છે, ગામ માં માનવ સમુદાય સહિત ઢોરઢાંખર સૌ સાજા માજા રહે, ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ સૌની તંદુરસ્તી સારી રહે તેવી માન્યતા અને અપેક્ષાઓ રાખી આદિવાસી સમાજ વારે તહેવારે તેમજ આદિવાસી રીત રીવાજો પૈકીના આ પેઢી બદલવા માટેની વિધિ માંગામના દેવતાઓ તેમજ ખત્રી પૂર્વજોનું ભારે આસ્થાભેર પૂજન કરવામાં આવે છે.

પેઢી બદલવાની વિધિ વિશે જાણકારી આપતા છોટાઉદેપુર તાલુકાના ભૂતપૂર્વ પ્રમુખ અને લગામી ગામના રહેવાસી અને વીરપુર ગ્રામ પંચાયતના યુવા સરપંચ રાજેશભાઈ લગામી જણાવે છે કે લગામી ગામમાં દેવોની પેઢી બદલવાની કામમાં  છેલ્લા 9 દિવસથી જોતરાયા હતા. અને  જવારા વાવીને આઠ દિવસની પુજા વિધી કરી નવમા દિવસે અખાડો માંડવામાં આવે છે, સાગના લાકડામાંથી ગામમાં બિરાજમાન તમામ દેવી દેવતાના દેવ પ્રતીકો (જેને આદિવાસી ભાષામાં દેવ પ્રતીકો ખૂંટડા કહે છે) ઘડવાની અને રંગ રોગાન કરવાની કામગીરીમાં જોતરાયા હતા અને બુધવારના રોજ વિધિવત રીતે દેવોની સ્થાપના કરવામાં આવી હતી.

જિલ્લાના ઝોઝ વિસ્તારના લગામી ગામે દેવની પેઢી બદલાઈ હતી, જે ગામમાં દેવ સ્થાનો જૂના થઈ ગયા હતા અને ગામના તમામ લોકો ભેગા મળીને દેવોની પેઢી બદલવામાં આવી હતી છે, ત્યારે ગામની સીમમા બિરાજમાન તમામ આદિવાસીઓના દેવી દેવતાના ઘોડાને ગણીને કુંભારને પાકી માટીના ઘોડા ઘડવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ વર્ષે દરમિયાન લગામી ગામનાં લોકો સામુહિક રીતે દેવની પેઢી બદલવાનો નિર્ણય લેતાં ગામના લોકો કુટુંબ દીઠ ફંડ ફાળો એકઠો કરીને 1 મહીના પહેલાં ઝોઝ ગામના દયાલ વરિયાને 86 જેટલાં દેવી દેવતાના ઘોડા બાનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો અને અંદાજિત રૂ 5 લાખના ખર્ચે દેવોની પેઢી બદલવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

બુધવારના રોજ લગામી ગામના આદિવાસી લોકો દ્વારા મોટલા ઢોલ, ઢોલીયા, શરણાઇ, દદૂળી અને માંદળના તાલે વાજતે ગાજતે જૂની પરંપરા મુજબ વિધિવત રીતે પૂજા વિધિ કરી દેવોની પેઢી બદલવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ગામના લોકોએ નાચગાન ઢોલ નગારા સાથે પારંપરિક રીતના પૂજા કરી ગામની પેઢી બદલવામાં આવી હતી અને સમગ્ર આદિવાસી સમાજમાં એક ઉત્સાહનું વાતાવરણ બન્યું હતું.

BY નયનેશ તડવી