જૂનાગઢમાં ગીરનું જંગલ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. સાસણ ગીર ખાતેથી લાઈન સફારી શરૂ કરવામાં આવી છે. ગીર નેશનલ પાર્કના ડીએફઓ ડૉ. મોહન રામે લીલી ઝંડી આપી જિપ્સી સફારીની શરૂઆત કરાવી છે. ચાર માસના વેકેશન બાદ આજથી આ અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.
ચોમાસાની ઋતુમાં સિંહનો પ્રજનન કાળ ચાલતો હોવાથી દર વર્ષે 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર જંગલ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. આ વખતે જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી ગીરનું જંગલ સોળે કળાએ ખીલી ઊઠયું છે. કોરોનાનું સંક્રમણ ઓછું થઈ ગયું હોવાથી 100 ટકા ક્ષમતા સાથે પ્રવાસીઓને પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

