કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાની વિરૂદ્ધ ખેડૂત આંદોલનનો આજે 44મો દિવસ છે. તેની વચ્ચે આજે ખેડૂતો અને કેંદ્ર સરકાર વચ્ચે આઠમા દોરની બેઠક થઈ હતી. આ બેઠકમાં પણ કોઈ સમાધાન નથી આવ્યું. 15 જાન્યુઆરીએ આગામી બેઠક થશે.

મળતી માહિતી મુજબ, બેઠકમાં આજે ફરી એક વખત સરકારે ખેડૂત નેતાઓ સામે કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ રાખ્યો. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે કાયદો પરત ન લઈ શકીએ કારણ કે ઘણા ખેડૂતો તેના પક્ષમાં છે. જ્યારે ખેડૂત નેતાઓ કાયદો રદ્દ કરવાની માંગ પર અડગ છે. સરકારના વલણથી રોષે ભરાયેલા, ખેડૂતોએ મીટિંગની વચ્ચે લંગર ખાવાની ના પાડી હતી. જ્યારે સરકાર દ્વારા બપોરના ભોજન માટે વિનંતી કરવામાં આવી ત્યારે ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓ રોટલી ખાશે નહીં કે ચા પીશે નહીં. બેઠકમાં કેટલાક ખેડુતો તખ્તી લઈને બેઠા હતા. જેના પર લખ્યું હતું કે, “અમે કાં તો મરી જઈશું અથવા જીતીશું”

આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, વાણિજ્ય અને ખાદ્ય પ્રધાન પીયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્ય મંત્રી અને પંજાબના સાંસદ સોમ પ્રકાશ વચ્ચે વાણીજ્ય ભવનમાં 40 ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાતચીત થઈ હતી.