વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  નવા સંસદ ભવનનું શિલાન્યાસ અને ભૂમિ પૂજન કરશે. આ સમારોહમાં વિભિન્ન પાર્ટીઓના નેતા, કેન્દ્રીય મંત્રી અને અનેક દેશોના રાજદૂત સામેલ થશે. ચાર માળના નવા સંસદ ભવનનું નિર્માણ 971 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી 64500 વર્ગ મીટર ક્ષેત્રફળમાં કરવાનો પ્રસ્તાવ છે. આ નિર્માણ કાર્ય ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ સુધી પૂરું કરી દેવામાં આવશે.

પ્રત્યેક સંસદ સભ્યને પુનઃ નિર્મિત શ્રમ શક્તિ ભવનમાં કાર્યાલય માટે 40 વર્ગ મીટરની જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનું નિર્માણ 2024 સુધી પૂરું કરવામાં આવશે. નવા સંસદ ભવનના નિર્માણનો પ્રસ્તાવ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડૂ તથા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ક્રમશઃ રાજ્યસભા અને લોકસભામાં 5 ઓગસ્ટ 2019ના રોજ રજૂ કર્યા હતા.

લોકસભા સચિવાલય તરફથી જાહેર એક વિજ્ઞાપનમાં કહેવામાં આવ્યું છે કે નવા સંસદ ભવનની ડિઝાઇન અમદાવાદના મેસર્સ એચસીપી ડિઝાઇન એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. નવા ભવનને તમામ આધુનિક દૃશ્ય-શ્રાવ્ય સંચાર સુવિધાઓ અને ડેટા નેટવર્ક પ્રણાલીઓથી સુસજ્જ કરવામાં આવશે. એ સુનિશ્ચિત કરવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે નિર્માણ કાર્ય દરમિયાન સંસદના સત્રોના આયોજનમાં ઓછામાં ઓછી અડચણ ઊભી થાય અને પર્યાવરણ સંબંધી તમામ સુરક્ષા ઉપાયોનું પાલન કરવામાં આવે.