સૂરતઃ રાજય સરકારના આદિવાસી વિકાસ વિભાગ દ્વારા સંચાલિત નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે MTB આર્ટસ કોલેજ, સુરતના આચાર્ય અને તાપી જિલ્લાના નિઝર તાલુકાના મેણપુર ગામના વતની ર્ડા. મધુકર પાડવીની પસંદગી કરવામાં આવી છે.

તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકાના મેણપુર ખાતે ડૉ. મધુકરભાઇ પાડવીનો જન્મ ૩-૩-૧૯૬૧ ના રોજ સામાન્ય આદિવાસી પરીવારમાં થયેલ છે. તેમણે વીર નર્મદ યુનિવર્સિટી, સુરતમાં હિન્દી વિષય સાથે પ્રથમ વર્ગમાં યુનિ. પ્રથમ ક્રમે સ્નાતકની ડિગ્રી મેળવી ત્યાર બાદ M.A, M.PHIL અને PH.D સુધીનો અભ્યાસ નર્મદ યુનિવર્સિટી, સુરત ખાતે કર્યો. તેઓ ૦૧-૦૩-૧૯૮૬ થી MTB આર્ટસ કોલેજ, સુરતમાં લેકચરર તરીકે હિંદીના વ્યાખયાતા તરીકે જોડાયા હતાં. તેમણે ૧૯૯૭ થી હિંદી વિભાગના અધ્યક્ષ અને PG ઇન્ચાર્જ તરીકેની પણ ફરજ બજાવી.

હાલમાં તેઓ ૨૦૦૯માં MTB કોલેજ સુરતના આચાર્ય તરીકેની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી રહ્યા હતા. તે સાથે જ તેઓ વીર VNGUS સુરતના હિંદી અભયાસ સમિતિના અધ્યક્ષ તથા યુનિ. હિંદી વિષય રિસર્ચ સમિતિના કન્વીનર તેમજ યુનિ. ખાતે કાર્યરત તુલનાત્મક વિભાગના કન્વીનર તેમજ તુલનાત્મક સાહિત્ય વિભાગની અભ્યાસ સમિતિના એડહોક અધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી છે.

ડૉ. મધુકર પાડવીએ ‘નિર્મલ વર્મા કી કહાનીઓ કા આલોચનાત્મક અધ્યન અને નિર્મલ વર્મા ઔર મધુરાય કી કહાનીયોં કા તુલનાત્મક અધ્યયન’ વિષય પર મહાશોધ પ્રબંધ લખીને PH.D ની ડિગ્રી મેળવી છે. તે સાથે જ તેઓએ હિંદી તથા ગુજરાતી ભાષામાં પુસ્તકો પણ લખ્યા છે.

રાજય સરકારે નિઝર જેવા અંતરીયાળ આદિવાસી તાલુકાના વતની અને સુરતની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત NPGC દ્વારા એ ગ્રેડ તેમજ CPE પુરસ્કૃત MTB કોલેજના આચાર્યા તરીકે કાર્યરત અને આદિવાસી સમાજના ઉત્સાહી શિક્ષણવિદની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે નિમણૂક કરી છે. બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ઓકટોમ્બર- ૨૦૧૭ થી વોકેશનલ ટ્રેનિગ સેન્ટરના મકાનમાં રાજપીપળા ખાતે કાર્યરત છે.

સ્નાતક કક્ષાની કોલેજ ઓફ સાયન્સ, સ્કુલ ઓફ કોમર્સ અને સ્કુલ ઓફ આર્ટસમાં ૪૬૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ૩૨૩ વિદ્યાર્થીઓ છાત્રાલયની સગવડ મેળવે છે. યુનિવર્સિટીના કેમ્પસ માટે જીતનગર, રાજપીપળા ખાતે ૩૯.૦૦ એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ૩૫૦ કરોડના ખર્ચે યુનિવર્સિટીના બાંધકામ પ્રક્રિયા કાર્યરત છે.

યુનિવર્સિટીના વિકાસના કાર્યોને અને શિક્ષણ ક્ષેત્રમાં તેઓના માર્ગદર્શનથી યુનિવર્સિટીના કાર્યોને વેગ મળશે તથા તેમનો ધણા લાંબા અનુભવનો લાભ યુનિવર્સિટી અને આદિવાસી સમાજને પણ મળશે. શૈક્ષણિક અને સામાજિક વિકાસ કરવા માટે તેઓનો મહત્વનો ફાળો રહેશે. તેઓની નિમણૂકને સમગ્ર આદિવાસી સમાજે હર્ષભેર વધાવી છે અને ડૉ. પાડવીને અભિનંદન પાઠવ્યા છે.