પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ ૩૧મી ઓક્ટોબર ૨૦૨૦ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણી કરી હતી. એ કાર્યક્ર્મ દરમિયાન એમણે પોતાના ભાષણમાં એમ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત આસપાસના અન્ય પ્રોજેક્ટોમાં સ્થાનિક આદિવાસીઓને રોજગારીની તક ઉપલબ્ધ થઈ છે. સ્થાનિકોનું જીવન ધોરણ પણ ઊંચું આવશે. પરંતુ હકીકત કંઇક અલગ છે. અનેક વાર સ્થાનિક કર્મચારીઓને છુટ્ટા કરવામાં આવ્યા છે એવીજ રીતે હવે ૧૦ દિવસ પણ નથી થયા ઉદધાટનના અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કના કર્મચારીઓને છુટ્ટા કરાતા તેઓ રોષે ભરાયા છે. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કના કર્મચારીઓએ સરપંચ સંઘ નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા અને મહિલા આગેવાન ભારતીબેન તડવીની આગેવાનીમાં નર્મદા કલેકટરને રજૂઆત કરી હતી.

   વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં નોકરી કરતા ૨૪ સ્થાનિક કર્મચારીઓ ૧૮/૧૦/૨૦૧૯થી ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં ફરજ બજાવી રહ્યાં હતાં. કોરોના મહામારીને લીધે ૧૮/૦૩/૨૦૨૦ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ વિભાગો બંધ કરી દેવામાં આવ્યાં હતાં. તા. ૩૦/૧૦/૨૦૨૦નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સેવા આપી રહ્યાં છે તેવા સ્થાનિક આદિવાસી ગાઈડોની કામગીરીથી પ્રભાવિત થયા હતાં. પીએમ મોદીની પ્રશંસા પામનાર સ્થાનિક આદિવાસી ૨૪ જેટલા ગાઈડને કોઈ પણ કારણ દર્શક નોટિસ વગર દિવાળીના તહેવાર ટાણે જ છૂટ્ટા કરી દેવાતા તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

    આ એ સ્થાનિક કર્મચારીઓ છે જેમને સરકારે વચનો આપ્યા હતા કે રોજગારી મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દેશના હિત તેમજ વિકાસ માટે પોતાની જમીન આપી છે. ત્યારે આવા લોકોને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાંથી છૂટા કરવામાં આવે એ ખૂબ જ દુઃખની બાબત કહેવાય. એક તરફ દેશના વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી સ્થાનિક આદિવાસીઓને રોજગારી માટે પ્રોત્સાહન આપી રહ્યાં છે. ત્યારે જેમણે પોતાના દેશના સર્વાંગી વિકાસ માટે પોતાની જમીનો આપી છે પરંતુ સ્થાનિકો ને રોજગારી આપવામાં સરકાર નિષ્ફળ નીવડી હોય એવું લાગે છે કારણ કે સાથનિક આદિવાસીઓને રોજગારી આપવાના નામે જમીનો સંપાદન કરી અને ઘણા પ્રશ્નોનું નિરાકરણ પણ નથી આવ્યું ત્યાં સરકાર સ્થાનિક આદિવાસીઓને રોજગારી પૂરી પાડવી એ ખૂબ જ જરૂરી છે.

    આ કર્મચારીઓને પગાર પણ ખુબ જ ઓછો આપવામાં આવે છે. ત્યારે 24 લોકોને વહેલી તકે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં ફરજ પર પરત લેવામાં આવે એવી અમારી માંગ છે. એમને કયા કારણોસર છૂટા કરવામાં આવ્યા છે એની પણ જાણ કરવા વિનંતી. બહારના જિલ્લાના લોકોને કોના આધારે નોકરી પર લેવામાં આવ્યાં છે એનો પણ ખુલાસો કરવા વિનંતી અને આ લોકોને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં તાત્કાલિક ધોરણે ફરજ પર પરત લેવામા આવે એવી અમારી માંગ છે અને આવનારા દિવસોમાં જ્યાં-જ્યાં નવા પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે ત્યાં ઈન્ટરવ્યુ લઈ સ્થાનિકની ભરતી થવી જોઈએ. હવે જોવાનું એ રહ્યું કે સ્થાનીક આદિવાસીઓને સરકાર રોજગારી આપશે કે નહિ!