દક્ષિણ ગુજરાતમાં શાળા અને કોલેજોમાં દિવાળી વેકેશનનો માહોલ ધીરે દીરે જામી રહ્યો છે. શાળાઓમાં તો ગત અઠવાડિયાથી જ દિવાળી વેકેશન શરૂ થઈ ગયું છે. જ્યારે કોલેજોમાં આગામી અઠવાડિયાથી વેકેશનને લઈને હલચલ જોવા મળી રહી છે. જેમાં યુનિવર્સિટી પ્રશાસને દિવાળી વેકેશનમાં ફેરફાર કરતા જ આચાર્ય અને અધ્યાપકોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. વેકેશનની તારીખમાં ફેરફાર કરવા માટે આચાર્ય અને અધ્યાપકોએ કરેલી લેખિત-મૌખિક રજૂઆત ફલી હોય કોલેજોમાં હવે ૯ નવેમ્બરથી દિવાળી વેકેશન ચાલુ થઇ રહ્યું છે.

    રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કોલેજોમાં 6થી 18 નવેમ્બર સુધીનું દિવાળી વેકેશન જાહેર કરાયું હતું. ૧૯ નવેમ્બરથી શિક્ષણ કાર્યનો પુન: આરંભ કરવાની જાહેરાત થઈ હતી. પરંતુ શિક્ષણ વિભાગના આ નિર્ણય સામે રાજ્ય સ્તરે રજૂઆતોનો થઇ છે. રાજ્યસ્તરના કોલેજ આચાર્ય મંડળે વિવિધ કારણોસર દિવાળી વેકેશનની તારીખમાં ફેરફાર કરી ૯ નવેમ્બરથી રજા આપવાની લેખિત રજૂઆત કરી હતી. અધ્યાપક મંડળો દ્વારા પણ યેનકેન પ્રકારે થયા બાદ રાજ્યની કેટલીક યુનિવર્સિટીએ વેકેશનમાં ફેરફાર કર્યો હતો.

    આ સંજોગોમાં દક્ષિણ ગુજરાતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ હવે વિધિવત રીતે પરિપત્ર જાહેર કરીને દિવાળી વેકેશનમાં ફેરફારની જાહેરાત કરી છે. જે મુજબ હવે દક્ષિણ ગુજરાતની તમામ કોલેજો અને અનુસ્નાતક ભવનોમાં ૯ થી ૨૧ નવેમ્બર સુધીનું દિવાળી વેકેશન રહેશે આમ યુનિ. લીધેલા આ નિર્ણયનું સ્થાનિક યુવા વિદ્યાર્થીઓ પર કેવું પ્રતિબિંબ પડશે એ જોવું રહ્યું.