ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે સ્કૂલોના કોર્સ, રજાઓ અને વેકેશનના દિવસો સહિતનો પ્લાન તૈયાર કર્યો, ટૂંક સમયમાં જાહેરાત થઇ શકે છે ગુજરાત બોર્ડ સાથે જોડાયેલી ધોરણ 9થી 12ની સ્કૂલોમાં 30 ટકા સુધીના કોર્સમાં કાપ મુકાઈ શકે છે. આ 30 ટકા કોર્સ એવો જ કપાશે કે જે આગળના ધોરણમાં આવતા પ્રકરણ સાથે જોડાયેલો નહીં હોય. કાપ મુકાયેલા કોર્સને શિક્ષકોએ ભણાવવાનો રહેશે, પરંતુ પરીક્ષામાં આ કોર્સમાંથી કોઇપણ પ્રશ્ન પુછાશે નહીં.
સરકારે નક્કી કરવામાં આવ્યું છે કે માત્ર વિદ્યાર્થીઓને જ્ઞાન મળે તે હેતુથી તમામ કોર્સ શિક્ષકોએ પણ ભણાવવાનો રહેશે. આ સાથે શૈક્ષણિક દિવસોની ભરપાઇ કરવા માટે જાહેર રજાઓ અને વેકેશનના દિવસોમાં પણ ઘટાડો થઇ શકે છે. ઓફલાઇન સ્કૂલો શરૂ થયા બાદ અત્યાર સુધી શનિવારે સ્કૂલો અડધા દિવસ માટે ચાલતી હતી તે હવે પૂરો સમય ચાલશે. એટલે કે સોમવારથી શનિવાર દરમિયાન સ્કૂલનો સમય એક સરખો જ રહેશે.
મળતી માહિતી પ્રમાણે, CBSI ના નિર્ણય બાદ ગુજરાત બોર્ડે પણ કોર્સમાં ઘટાડાની જાહેરાત કરી હતી, પરંતુ કોર્સમાં કેટલો ઘટાડો કરવો તેના માટે બોર્ડના અધિકારીઓને એક કમિટી બનાવી હતી. કમિટીએ ત્રણ મોડલ રજૂ કર્યાં હતાં, જેમાં ઓગસ્ટ મહિનામાં સ્કૂલો શરૂ થાય તો, સપ્ટેમ્બરમાં શરૂ થાય તો અને ઓક્ટોબરમાં શરૂ થાય તો કેવો કોર્સ રાખવો તેનું માળખું તૈયાર કરાયું હતું.
બોર્ડના અધિકારીઓ અને શિક્ષણમંત્રી સાથે વારંવાર બેઠકો બાદ 30 ટકા જેટલો કોર્સ ઘટે તેવી વકી તમામ અધિકારીઓ દ્વારા શિક્ષણમંત્રીને કરાઇ હતી, પરંતુ શિક્ષણમંત્રીએ સૂચના આપી હતી કે, જે પ્રકરણ પરીક્ષા માટે કાપ મૂકીએ છીએ તે પ્રકરણ શિક્ષકોએ ભણાવવાના રહેશે. જેથી વિદ્યાર્થીને ભવિષ્યમાં તકલીફ ન થાય. આવનારા ટૂંક સમયમાં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ અંગેની જાહેરાત થઇ શકે છે.
૨૦૨૧ ની બોર્ડની પરીક્ષા માર્ચના અંતમાં કે એપ્રિલમાં
દર વર્ષે બોર્ડની પરીક્ષા માર્ચના શરૂઆતના 15 દિવસમાં યોજાતી હોય છે, પરંતુ 2021માં બોર્ડની પરીક્ષા માર્ચના અંતમાં અથવા એપ્રિલના શરૂઆતના દિવસોમાં શરૂ થશે, જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શિક્ષણકાર્યની સાથે પુનરાવર્તનનો પણ પૂરતો સમય મળી શકે.
દરેક ધોરણમાં કોર્સ પૂરો થઇ જાય તેની પૂરતી તકેદારી
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કોર્સ ઘટાડો અને શૈક્ષણિક દિવસોની ગણતરીને ધ્યાને લઇને શૈક્ષણિક વર્ષ દરમિયાન દરેક ધોરણમાં કોર્સ પૂરો થઇ જાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે. રજા અને વેકેશનના દિવસોને આધારે જ કોર્સ પૂરો થઇ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પણ પુનરાવર્તન કરવાનો પૂરતો સમય મળી રહે એ રીતે શિક્ષકોને ભણાવવાના આદેશ આપવામાં આવ્યા છે.સરકાર અને શિક્ષણ વિભાગ બે-ત્રણ દિવસ દરમિયાન પોતાના ઈરાદાઓ બદલતા રહે છે. હવે જનસમુદાયો એજ વિદ્યાર્થીઓના બહેતર ભવિષ્ય માટે નિર્ણય લેવો જ રહ્યો