ઉપરવાસમાં ભારે વરસાદ અને મધ્યપ્રદેશના તમામ ડેમ ઓવરફ્લો થતાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 1થી 2 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે, તેવી નર્મદા નિગમે જાહેરાત કરી હતી. જોકે હજી સુધી પાણી છોડાયુ નથી. આજે સાંજ સુધીમાં પાણી છોડાય તેવી શક્યતા છે. નર્મદા ડેમમાં હાલ 96,483 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જે સાંજ સુધીમાં વધી જશે. નર્મદા ડેમની સપાટી હાલ વધીને 129.60 મીટર ઉપર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 2.5 મીટરનો વધારો થયો છે.

 

    નર્મદા નદી કાંઠાના ભરૂચ અને નર્મદા જિલ્લાના 30 જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. નર્મદા ડેમના દરવાજા લાગ્યા બાદ ડેમને 138.68 મીટર સુધી ભરી શકાય છે. જોકે નર્મદા ડેમની જળ સપાટી વધતા ઘણા દિવસોથી બંધ 1200 મેગાવોટ વીજ ક્ષમતાના રિવર બેડ પાવર હાઉસનું એક યુનિટ શરૂ કરવામાં આવ્યું છે અને રિવર બેડ પાવર હાઉસ ચાલુ કરવામાં આવતા 50 હજારથી વધુ પાણી નર્મદા નદીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં 3130 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો જમા થયો છે.

   મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલુ 70 હજાર ક્યૂસેક પાણી આજે સાંજ સુધીમાં નર્મદા ડેમ ખાતે પહોંચશે. જેને પગલે નર્મદા ડેમમાંથી 1થી 2 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવશે તેવી નર્મદા નિગમે મંગળવારે સાંજે 7 વાગ્યે જાહેર કરેલા લેટરમાં જાહેરાત કરી હતી. જોકે હજી સુધી પાણી છોડાયુ નથી. જોકે આજે સાંજ સુધીમાં 1થી 2 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે.

BY: ચિરાગ તડવી