નર્મદા : ડેડીયાપાડા તાલુકામાં આવેલી દેવ નદી પરનો કૉઝવે ડૂબી જતાં ગામની ગર્ભવતી મહિલાને ઝોળીમાં નાખી હોસ્પિટલમાં પોહ્ચાડવાની કરુણ પરિસ્થિતિ બની હતી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલા માથાસર ગામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા દેવનદીના ધસમસતા પાણી પ્રવાહમાં જીવના જોખમે તેના પરિવારજનો ઝોળીમાં બાંધીને લઈ જવા લાચાર બન્યા હતા.

 છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે માથાસર ગામ પાસે દેવ નદી પર બનેલા નાના કોઝવે  પર વરસાદી પાણી ફરી વળતા ગામ લોકોનો વાહન વ્યવહાર બંધ થયો છે. દર ચોમાસામાં આવી વિકટ પરિસ્થિતમાંથી પસાર થતાં આ ગામના લોકોને 108 એમ્બ્યુલન્સની તથા સ્વાસ્થ્યની ઈમરજન્સી સેવાનો લાભ મળતો નથી. જેના પગલે અનેક લોકોના મોત થતાં હોય છે. હજી તો આ વિસ્તારની 22 સગર્ભા મહિલાઓ સરકારી ચોપડે નોંધાયેલી છે, જેમને તબીબોએ ઓગસ્ટથી ઓક્ટોબરની સંભવિત ડિલિવરીની તારીખ આપી છે. જેમને પણ 108ની સુવિધા મળવી અશક્ય છે.

 

માથાસર ગામની સગર્ભા ચંદ્રિકાબેન વસાવાને પ્રસુતિ પીડા ઉપડતા તેને સમય સુચકતા વાપરી પરિવારજનોએ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવા તજવીજ હાથ ધરી હતી. ગામ લોકો આ મહિલાને એક લાકડા સાથે ઝોળીમાં બાંધીને કણજી વાંદરી ગામ નજીક નદી પર આવેલા કોઝવેના પૂરમાં જીવ જોખમમાં મૂકી નદી પાર કરી સારવાર અર્થે લઈ ગયા હતા.

ગામ લોકોનું કહેવું છે કે આ વર્ષોથી સમસ્યા છે ગામ લોકો દ્વારા બ્રિજ બનાવવા માટે અનેક વાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર અમારી વાત સાંભળતું નથી અને ડેડીયાપાડાના તાલુકાના અંતરિયાળ વિસ્તારના કણજી, વાંદરી, ડુંખલ, માથાસર સહિતના અનેક ગામોના લોકો માટે દેવ નદી પરનો કોઝવે માથાનો દુઃખાવો બન્યો છે. મોટી નદી હોવા છતાં નાનકડો કોઝવે બનાવી દેવાતા દર ચોમાસે પાણીમાં ગરકાવ થઈ જાય છે.આ દ્રશ્ય સાબિતી આપે છે કે આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામોમાં કેટલો ભ્રષ્ટાચાર અને કેટલી બેદરકારી છે. વાસ્તવિકતા લોકો  નજર સમક્ષ છે. નિર્ણય લોકોએ લેવાનો છે.

BY- ચિરાગ તડવી