વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરપંચોને વિતેલા એક વર્ષથી 15મા નાણાંપંચના રૂપિયા પંચાયતમાં જમા હોવા છતાં વાપરવા ન દેતા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ભાજપના સરપંચો સાથે મળી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.
Decision Newsને જાણવા મળ્યું છે તે પ્રમાણે વાંસદા તાલુકાની 84 જેટલી ગ્રામ પંચાયતમાં ગામમાં વિકાસના કામો રોડ, રસ્તા, નાળા, સ્વચ્છતા તેમજ પાણીના કામો અને વિસ્તાર વિકાસના કામો કરવા માટે એક વર્ષ પહેલાં સ્થાનિક 15માં નાણાંપંચના રૂપિયા સરકારની ગાઈડલાઈન મુજબ ગ્રામ પંચાયતના ખાતામાં ફાળવવામાં આવ્યા હતા પરંતુ વિતેલા 1 વર્ષથી 15મા નાણાંપંચના કામો કરી દીધા છતાં ગ્રામ પંચાયતને રૂપિયા ખર્ચ કરવાની મંજુરી જિલ્લા કક્ષાએથી મળી નથી.
વાંસદાના સરપંચોની મિટીંગમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં પોતાની માંગણીને વાચા આપતા વાંસદા મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ અનંત પટેલે જણાવ્યું કે 15મા નાણાંપંચની ગ્રાન્ટ સીધી ગ્રામ્ય વિકાસમાં ખર્ચ કરવાની હોય છે. જેની મંજૂરી સામાન્ય સભા અને ગ્રામ સભામાં થતી હોય છે. આ ગ્રાન્ટ સીધી ગામના સરપંચની દેખરેખમાં હોય છે. આ પ્રકારે સરપંચોને સત્તા આપવા છતાં હાલમાં એને ક્યાં કારણે અટકાવી શકાય ગ્રાન્ટને જો સરપંચો સાથે ન્યાયન થાય ધરણાં પ્રદર્શન કરવામાં આવશે.
આ મુહીમમા વાંસદાના શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું કે વાંસદા તાલુકાના સરપંચોને 15મા નાણાંપચ અને પ્રધાનમંત્રી આવાસના નાણાંની ગ્રાન્ટ ઘણાં સમયથી મળી નથી. જેને લઈ નવસારી ડીડીઓને લેખિતમાં રજૂઆત કરી અને વહેલી તકે નાણાં મળે તેવી વ્યવસ્થા કરવા માટે અપીલ કરવામાં આવી છે. સરપંચોની લડતમાં સરપંચ એસોસિએશનના ઉપપ્રમુખ ધીરજ દળવી પણ જોડાયા હતા

