ધરમપુર: ધરમપુર તાલુકાના હાથીખાના વિસ્તારમાં વર્ષોથી રોજીરોટી કમાતા રીક્ષા ચાલકોને પડી રહેલી મુશ્કેલીઓના કાયમી નિવારણ માટે આજરોજ તા. 25 ઓગસ્ટ 2026ના રોજ મોટી સંખ્યામાં રીક્ષા ચાલકોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને એક સત્તાવાર રજૂઆત કરી હતી. આવેદનપત્ર આપતા પહેલાં તમામ રીક્ષા ચાલકોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી પોતાના હક્કો માટે અવાજ ઉઠાવ્યો હતો.
કલ્પેશ પટેલ જણાવે છે કે ધરમપુર તાલુકાના અનેક ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા રીક્ષા ચાલકો હાથીખાના પાસે રીક્ષા ઊભી રાખીને પેસેન્જર વહન, શાકભાજીની હેરફેર કે નાના-મોટા ભાડાં કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે, કેટલાક લોકો દ્વારા અવારનવાર કરવામાં આવતી ફરિયાદોના કારણે વહીવટી તંત્ર દ્વારા તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે, જેનાથી રીક્ષા ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
મુખ્ય માંગણીઓ: હાથીખાના સાઇડ રીક્ષા ચાલકો માટે સુવ્યવસ્થિત જગ્યા ફાળવીને સત્તાવાર રીક્ષા સ્ટેન્ડ બનાવવામાં આવે જેથી ટ્રાફિક અને દંડની સમસ્યાનો કાયમી નિકાલ આવે.નગરપાલિકાનું આશ્વાસન: રજૂઆતને ધ્યાને રાખીને નગરપાલિકા તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે આગામી સામાન્ય સભામાં આ મુદ્દાને આવરી લઈને યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. રીક્ષા ચાલકોએ આશા વ્યક્ત કરી છે કે નગરપાલિકા ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લઈને નાના વર્ગના આ શ્રમિકોની આજીવિકાનું રક્ષણ કરશે.











