ધરમપુર: આજે ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામના વડીલો દ્વારા પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ)ની વિધિવત પૂજા કરવામાં આવી હતી. આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરાને વડીલો આજે પણ ગામના આગેવાનો સાથે જાળવી રાખી છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ આજે પીપરોળમાં આદિવાસી વરસાદી દેવને ગામના ખેડૂત વડીલોએ સારો વરસાદ, ખેતીનો સારો પાક અને ગામમાં સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી. આ પરંપરા અનુસાર થોડા દિવસમાં ગામદેવી ખાતે આખા ગામના વડીલો અને ગ્રામજનો ભેગા થઈને હવન કરવાનું પણ આયોજન છે. આદિવાસી નેતા કલ્પેશ પટેલે જણાવ્યું કે, “આ આદિવાસી વરસાદી દેવની પરંપરા મુજબ મોટી સંખ્યામાં ગામના વડીલો અને આગેવાનો સાથે વિધિવત પૂજા કરવામાં આવી છે.”
આ પ્રસંગે ગામના વડીલોએ જણાવ્યું કે પ્રકૃતિ પ્રત્યે આદર અને પરંપરાગત વિશ્વાસને જાળવી રાખવું એ આદિવાસી સમાજની વિશેષતા છે. વરસાદી દેવની પૂજા ગામની સમૃદ્ધિ અને ખેતીવાડી માટે અગત્યનું માનવામાં આવે છે.
આવી પરંપરાઓ આજે પણ આદિવાસી વિસ્તારોમાં સજીવ અને જીવંત છે, જે સમાજને સાંસ્કૃતિક રીતે જોડી રાખે છે.











