વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના આંબાબારી ખાતે આવેલ વનવાસી વિકાસ મંડળ, વઘઇ ડાંગ સંચાલિત રિદ્ધિ-સિદ્ધિ માધ્યમિક કન્યા છાત્રાલયમાં એક સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી હતી. આ અવસરે પીઆઈ શ્રી કિરણભાઈ પાડવી તથા આર્મીમાં ફરજ બજાવતા શીતલભાઈ પટેલ દ્વારા છાત્રાલયની લાઇબ્રેરી માટે મૂલ્યવાન પુસ્તકોનું દાન આપવામાં આવ્યું હતું.

Decision News આ પુસ્તકો JCO ઓનેસ્ટભાઈ પરમારના સહયોગથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. પુસ્તકદાનના આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવા પુસ્તકો મળવાથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે વધુ રસ જાગશે તેમજ જીવન માટે ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. દાતાશ્રીઓએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે વાંચન જીવનમાં સફળતા માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને પુસ્તકો માત્ર અભ્યાસ પૂરતા જ નહીં પરંતુ જીવન ઘડતર માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
કાર્યક્રમ દરમિયાન કિરણ પાડવી, શીતલભાઈ પટેલ અને રીતેશ પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓને કારકિર્દી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે તેમને ભવિષ્ય માટે પ્રેરણાદાયક બન્યું.આ પ્રસંગે ગૃહમાતા કુસુમબેન, સંસ્થાના રિતેશ પટેલ તથા હિતાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ છાત્રાલય માટે પ્રેરણાદાયક સાબિત થયો હતો અને વિદ્યાર્થીઓએ પુસ્તકદાન માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.











