અમદાવાદ: ભારતીય ક્રિકેટના વર્તમાન સમયના સૌથી ખતરનાક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની અસાધારણ સફળતાનું એક મહત્વનું અધ્યાય તેમના બાળપણના કોચ, 79 વર્ષીય કિશોર ત્રિવેદી સાથે જોડાયેલું છે. અમદાવાદમાં રોયલ ક્રિકેટ એકેડમી ચલાવતા ત્રિવેદીએ 16 વર્ષની ઉંમરે બુમરાહની અનોખી અને વિચિત્ર લાગતી બોલિંગ એક્શનમાંથી જ ભવિષ્યના વિશ્વ સ્તરના બોલરની ઝલક જોઈ લીધી હતી.
ઘણા લોકો અને કોચોએ બુમરાહની એક્શનને ‘ખોટી’ ગણીને તેને સુધારવાની સલાહ આપી હતી, પરંતુ ત્રિવેદીએ તેને બદલવાને બદલે તેને જ તેમની સૌથી મોટી તાકાત બનાવવાનો નિર્ણય કર્યો. તેમણે બુમરાહને યોર્કર, બાઉન્સર, કટર અને બેટ્સમેનના મનને વાંચવા જેવી ઝીણવટભરી કળાઓ શીખવી, જેથી તેમની અનોખી એક્શન વધુ અસરકારક બની. તે સમયે બુમરાહ નિર્માણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને ક્રિકેટ પ્રત્યે ખાસ ગંભીર નહોતા. તેઓ એક દિવસ પ્રેક્ટિસ કરે અને ત્રણ દિવસ ગેરહાજર રહેતા, જેના કારણે કોચ ત્રિવેદીએ તેમને નિયમિત આવવા અને પ્રેક્ટિસ પર ધ્યાન આપવાની સલાહ આપી હતી. તેમણે બુમરાહને કહ્યું હતું કે તેમાં વિશ્વ સ્તરે રમવાની ક્ષમતા છે, બસ તેને ગંભીરતાથી કામ કરવું પડશે.
કિશોર ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ બુમરાહે ઘરેલુ ક્રિકેટમાં પગ મૂક્યો, પછી મુંબઈ ઇન્ડિયન્સ (MI) દ્વારા IPLમાં પસંદગી થઈ અને આખરે ભારતીય રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું. આજે બુમરાહ વિશ્વના સૌથી શ્રેષ્ઠ ફાસ્ટ બોલર તરીકે ઓળખાય છે, જેમની યોર્કર અને ડેથ ઓવરની બોલિંગ દુનિયાભરમાં ચર્ચામાં રહે છે. 79 વર્ષની ઉંમરે પણ કિશોર ત્રિવેદી અમદાવાદની રોયલ ક્રિકેટ એકેડમીમાં નવા ખેલાડીઓને તાલીમ આપી રહ્યા છે અને બુમરાહની સફળતા પર ગર્વ અનુભવે છે. તેમનું માનવું છે કે જો એક્શન બદલાઈ ગઈ હોત તો કદાચ આજે ભારત પાસે આવું અનમોલ રત્ન ન હોત. આ વાર્તા દર્શાવે છે કે સાચા માર્ગદર્શક કેવી રીતે ખામીને તાકાતમાં ફેરવી શકે છે અને એક સામાન્ય છોકરાને વિશ્વ સ્તરનો સ્ટાર બનાવી શકે છે.











