નાનાપોઢાં: વલસાડ જિલ્લામાં કૃષિ વિકાસને નવી ગતિ આપતી મહત્વપૂર્ણ જાહેરાત ગુજરાત સરકારના તાજેતરના બજેટમાં કરવામાં આવી છે. પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની સતત રજુઆતોને ધ્યાનમાં રાખીને મધુબન ડેમ આધારિત દમણગંગા જળાશય યોજના હેઠળ કપરાડા–નાનાપોઢા–ધરમપુર ઉદ્ધહન સિંચાઇ યોજના માટે 85 કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે.
આ મહાયોજનાનો કુલ અંદાજીત ખર્ચ આશરે 1340 કરોડ છે. યોજનામાં કપરાડા અને નાનાપોઢા તાલુકાના 32 ગામો તથા ધરમપુર તાલુકાના 16 ગામો મળી કુલ 48 ગામોનો સમાવેશ થાય છે. ત્રણ પંપિંગ સ્ટેશન દ્વારા ત્રણેય તાલુકાના આશરે 16,900 હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળશે. મુખ્ય પાઈપલાઈન આશરે 52 કિમી અને શાખા પાઈપલાઈન 188 કિમી લંબાઈની રહેશે. યોજના મધુબન ડેમના ફતેપુર ગામથી માંકડબન થઈ બરૂમાળ માન નદી સુધી વિસ્તરશે.
પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ તાલુકાના 81 ચેકડેમ અને ૨૬ તળાવો ભરવામાં આવશે, જેના કારણે સ્થાનિક નદીઓ જીવંત બની બારેમાસ પાણી ઉપલબ્ધ રહેશે. વર્ષભર પાણી મળતા ખેડૂતો આત્મનિર્ભર બનશે અને બાગાયતી સહિત વિવિધ પાકોમાં વધારો થશે. આ યોજના પ્રત્યેક ખેડૂતો માટે આશાના કિરણ તરીકે કાર્યરત રહેશે.
આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ જીતુભાઈ ચૌધરીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, તથા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. દમણગંગા વિભાગ અને મધુબન ડેમના કાર્યપાલક ઇજનેરો સનમુખભાઈ પટેલ યોજનાનો સમયસર અને અસરકારક અમલ થાય તે માટે ભગીરથ પ્રયત્નો કરી રહ્યા છે.











