જૂનાગઢ: ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે આયોજિત ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદના ૩૧મા અધિવેશન દરમિયાન સમાજશાસ્ત્ર ક્ષેત્રે નોંધપાત્ર શૈક્ષણિક સિદ્ધિઓ, પીએચ.ડી. અભ્યાસ તથા GSET પરીક્ષામાં સમાજશાસ્ત્ર અને હિંદુ સ્ટડીઝ વિષયમાં પ્રાપ્ત કરેલ સફળતા અને સંશોધનાત્મક યોગદાન બદલ ડૉ. જીતેન્દ્ર વસાવાનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું.
ડૉ. જીતેન્દ્ર વસાવા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના કરોડ ગામના વતની છે. તેઓ હાલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના સમાજશાસ્ત્ર વિભાગમાં અધ્યાપક સહાયક તેમજ ટ્રાઇબલ સ્ટડીઝ વિભાગમાં મુલાકાતી વ્યાખ્યાતા તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેમના શૈક્ષણિક કાર્ય, સંશોધન ક્ષેત્રે કરેલા મહત્વપૂર્ણ અભ્યાસો તેમજ સમાજશાસ્ત્ર ક્ષેત્રે આપેલા યોગદાનની ઉપસ્થિત વિદ્વાનો દ્વારા વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી.
આ સન્માન સમારોહમાં અધિવેશનના પ્રમુખ શ્રી, ડૉ. હેમીક્ષા રાવ, (ભૂતપૂર્વ કુલપતિ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ તથા અધ્યક્ષ, સમાજશાસ્ત્ર વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ) અધિવેશનના મંત્રી શ્રી. ડૉ. રાજેન્દ્ર જાની, (અધ્યક્ષ, સમાજશાસ્ત્ર વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ) ડૉ. જયસિંહ ઝાલા, (અધ્યક્ષ, સમાજશાસ્ત્ર વિભાગ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ). ડૉ. એચ. એલ. ચાવડા (અધ્યક્ષ, સમાજશાસ્ત્ર વિભાગ, મહારાજા કૃષ્ણકુમારજીસિંહ યુનિવર્સિટી, ભાવનગર) ડૉ. ભરત ખેર (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), ડૉ. નિલેશ બારોટ (શામળદાસ કોલેજ, ભાવનગર) તથા ડૉ. સંગીતા પટેલ (ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ) સહિત ગુજરાત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોના અધ્યાપકો, પીએચ.ડી. સ્કોલર્સ અને એમ.એ.ના વિદ્યાર્થીઓની વિશાળ ઉપસ્થિતિ રહી હતી. આ સાથે ડૉ. જીતેન્દ્ર વસાવાના પીએચ.ડી. માર્ગદર્શક ડૉ. એચ. એલ. બારડ સાહેબની વિશેષ અને ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહી હતી.











